Saturday June 21, 2025

મીઠાપુર નજીક કાર અકસ્માત સંદર્ભે ટ્રક ચાલક સામે ગુનો

કેરળના દંપતી સહિત ત્રણના મોત નીપજ્યા હતા

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૧-૨૦૨૫

  ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં બે દિવસ પૂર્વે સર્જાયેલા કાર તેમજ ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામેલા કેરળના યાત્રાળુ દંપતિ તેમજ કાર ચાલકના મૃત્યુ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ દ્વારા ટ્રકના ચાલક સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
   આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકામાં બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ રમેશભાઈ તાવડીવાલાના ભાઈ હેમેન્દ્રભાઈ તાવડીવાલા મંગળવારે સાંજના સમયે તેમની જી.જે. 37 બી. 7574 નંબરની સ્વીફ્ટ ડિઝાયર મોટરકારમાં કેરલથી આવેલા દંપતિ ઓ.બી. વાસુદેવન તેમજ તેમના પત્ની યામિનીબેનને સાથે લઈને દર્શનાર્થે નીકળ્યા હતા.
     ત્યારે મીઠાપુરથી આશરે પાંચ કિલોમીટર દૂર ભીમરાણા ગામ નજીક પહોંચતા હાઈવે માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં આવી રહેલા જી.જે. 37 ટી. 9899 નંબરના એક ટ્રકના ચાલકની બેદરકારીથી મોટરકાર અને આ ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક હેમેન્દ્રભાઈ તેમજ કેરળના દંપતિ ઓ.બી. વાસુદેવન અને તેમના પત્ની યામિનીબેન વાસુદેવનના ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મોત નિપજ્યા હતા.
   આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મૃતક હેમેન્દ્રભાઈના ભાઈ કૌશિકભાઈ રમેશભાઈ ખારવાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top