કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ભારતના લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલમાંથી આઈ.એ.એસ. અધિકારી બનીને દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે મુકાયેલા અમોલ આવટે દ્વારા તેમની આગેવાની તેમજ પોલીસ અને રેવન્યુ સહિતના જુદા જુદા વિભાગોની મદદથી દ્વારકા વિસ્તારમાં છેલ્લા 17 દિવસના સમયગાળા દરમિયાન રૂપિયા 22 કરોડ જેટલી કિંમતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં અંદાજિત 34,000 ચોરસ મીટર સરકારી કિમતી જમીન ખુલ્લી કરવાનો દ્વારકા જિલ્લામાં રેકોર્ડ સર્જાયો છે.
ઉજ્જવળ લશ્કરી અનુભવ સાથે આઈ.એ.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને હાલ ટ્રેનિંગ સમયમાં દ્વારકા પ્રાંત અધિકારી તરીકે મુકાયેલા અમોલ આવટે દ્વારા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન તથા પોલીસ અને રેવન્યુ તંત્રને સાથે રાખીને તારીખ 27 ડિસેમ્બર 2024 થી દ્વારકામાં અનઅધિકૃત રીતે કરવામાં આવેલા દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે દ્વારકામાં જુદા જુદા વિસ્તારોમાં રૂ. પાંચ કરોડ જેટલી કિંમતના 13 દબાણો તેમજ દ્વારકામાં લાઈટ હાઉસ પાસે, હાથી ગેઈટ પાસે, વિગેરે મળી, કુલ રૂપિયા 9 કરોડ જેટલી અંદાજીત બજાર કિંમતના દબાણો હટાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત છેલ્લા બે દિવસના સમયગાળામાં બેટ દ્વારકાના બાલાપર ખાતેથી 13.13 કરોડ રૂપિયાની સરકારી જગ્યા પરના દબાણો દૂર કરી, અંદાજિત 17 દિવસના સમયગાળામાં તંત્રએ રૂપિયા 22 કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણો દૂર કરવાનો એક રેકોર્ડ સર્જ્યો છે. આટલું જ નહીં, આ કામગીરી હજુ પણ આગળના દિવસોમાં જારી રહેશે.
- ગૃહ રાજ્ય મંત્રી દ્વારા કામગીરીની સરાહના – દ્વારકા પંથકમાં જિલ્લા વહીવટી તંત્ર રેવન્યુ તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા પુનઃ શરૂ કરવામાં આવેલી ડિમોલીશનની આ કામગીરીને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આવકારી અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. દ્વારકા અને બેટ દ્વારકાની જમીન દેશના કરોડો લોકોની આસ્થાની ભૂમિ હોય, આપણી આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવી એ ફરજ ગણાવીને કૃષ્ણ ભૂમિ પર ક્યાંય ગેરકાયદેસર દબાણો નહીં કરવા દેવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું.
