હત્યા મામલે પકડાયેલા ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન જ હત્યા કેસમાં એક સગીર વયની વ્યક્તિની સંડોવણી સામે આવી : પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરી પૂછપરછ ના અંતે રિમાન્ડ હોમ હવાલે કર્યો
બનાવવાનું કારણ ઉપલી સપાટી પર જે કંઈ કહેવાય છે તેના કરતાં જુદું જ હોવાની ચર્ચા વચ્ચે પોલીસ રિમાન્ડ દરમિયાન કરી રહી છે સગન પૂછપરછ: આવતીકાલે મંગળવારે રિમાન્ડ પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિગતો મળવાની સંભાવના નકારી શકાતી નથી
ભાવનગર
ભાવનગરના પથિકાશ્રમ નજીક તલવાર અને છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા મામલે ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે અને આવતીકાલે મંગળવારે રિમાન્ડ પૂરા થાય છે ત્યારે આ હત્યા કેસમાં પકડાયેલ ત્રણ શખ્સો ઉપરાંત એક ચોથી વ્યક્તિની સંડોવણી પણ બહાર આવી છે. પોલીસે ચોથી વ્યક્તિને પણ હસ્તગત કરી લઈ લાગુ પડતી કાર્યવાહી લાગુ પડતી કાર્યવાહી કરી છે. ચોથી વ્યક્તિ કાયદાના સંઘર્ષમાં આવેલ એક નાબાલીક વ્યક્તિ હોવાને કારણે તેની પૂછપરછ બાદ પોલીસે તેને રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઘર પાસે ગાળો બોલવા બાબતે પિતાને ઠપકો આપ્યો હોવાની દાઝ રાખી કરવામાં આવેલી હત્યામાં કેટલાક વધુ રહસ્યો ખુલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરના કાજીવાડ, લોહાણા જ્ઞાતિની વાડી સામે આવેલ ગંડાળાના ચોકમાં રહેતા ખાલીદખાન રજાકખાન પઠાણના ભાણેજ આમિરખાનના ઘર પાસે અરમાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી (રહે. શિશુવિહાર) અવારનવાર ગાળો બોલતો હોય, રાત્રે પણ અરમાન ઘર પાસે ગાળો બોલતા તેના ભાણેજે આમિરખાનને ફોન કરી વાત કરી હતી, આથી ખાલીદખાન પઠાણ, અને તેના સંબંધી સાહિલ રાજા તથા મિત્ર મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ કાચવાલા અરમાનના પિતા સલીમભાઈ લાખાણીની દુકાને ગયા હતા અને તેમનો દીકરો અવારનવાર ગાળો બોલતો હોય તેને સમજાવવા માટે જણાવ્યું હતું.ત્યારબાદ તેઓ પથીકાશ્રમપાસે આવેલ અજવા ચાઈનીઝ પોઈન્ટ વાળા ખાચામાં ઊભા હતા તે દરમિયાન એક્સેસ સ્કૂટરમાં અરમાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી ( રહે. શિશુવિહાર ), રહેમાન ઉર્ફે દિલીપ ઈરફાનભાઈ ફરિયાણી (રહે. બાપેસરા) અને અરમાનનો કારીગર આફતાબ તલવાર અને છરી લઈને આવ્યા હતા અને ‘તમે મારા પિતાને કેમ ફરિયાદ કરી’ તેમ કહી ગાળોકહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ ખાલીદખાનના મિત્ર મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ કાચવાલા ઉપર તલવાર અને છરી વડે હુમલો કરતા મુસ્તુફાભાઈને ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે અરમાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી (રહે. શિશુવિહાર ) રહેમાન ઉર્ફે દિલીપ ઈરફાનભાઇ ફરિયાણી (રહે. બાપૈસરા) અને અરમાનના કારીગર આફતાબ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ હજી આવતીકાલે પૂર્ણ થવાના છે અને આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવાના છે ત્યારે રિમાન્ડ દરમિયાન જ એ વાત ખોલવા પામી હતી કે આ સત્ય કેસમાં એક ચોથી વ્યક્તિની પણ સંડોવણી છે. જોકે ચોથી વ્યક્તિ કોણ? એવી શહેરભરમાં જાગેલી ચર્ચા વચ્ચે પોલીસે કહ્યું કે આ ચોથી વ્યક્તિ એક સગીર વયની કાયદાના સંઘર્ષમાં આવેલી વ્યક્તિ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કહેવાતી ઉપલી સપાટી પર ઘટનાનું જે કારણ દર્શાવાઈ રહ્યું છે તે સિવાયનું પણ કોઈ કારણ છે કે કેમ તેની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ અનુસંધાને આરોપીઓની સઘન પૂછપરછ પણ કરી રહી છે. પોલીસની પૂછપરછમાં હજુ પણ કેટલીક સ્ફોટક વિગતો બહાર આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. ગંગાજળિયા પીઆઈ સીપી વાઘેલાએ કહ્યું કે બનાવનાર કારણના સંદર્ભે પણ પોલીસ કેટલીક વિગતો ચકાસતાંની સાથે તપાસ કરી રહી છે. આવતીકાલે મંગળવારે ત્રણ આરોપીઓના રિમાન્ડ પૂરા થાય છે. રિમાન્ડના અંતે વધુ વિગતો પ્રાપ્ત થઈ શકે છે.
સગીર વયના કિશોરને પૂછપરછ ના અંતે રિમાન્ડ હોમ હવાલે કરાયો
ભાવનગર પથિક આશ્રમ પાસે થયેલી યુવકની હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ બાદ તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા છે અને આવતીકાલ મંગળવારે તેમના રિમાન્ડ પૂર્ણ થાય છે ત્યારે તેમાં એક ચોથી વ્યક્તિની પણ સંડોગણી સામે આવી હતી અને તે ચોથી વ્યક્તિ એક સગીર વયનો કિશોર હોવાથી પોલીસે તેને હસ્તગત કર્યો હતો અને પૂછપરછ બાદ તેને રિમાન્ડ હોમ હવાલે કરી દેવાયો છે. બનાવના અસલી કારણ અંગે જે કંઈ કહેવાતું હોય તે પરંતુ તેની ઊંડાણપૂર્વકની પોલીસ તપાસ હજુ ચાલુ છે. આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થઈ એ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે.