
– વિવિધ હઠીલા રોગોના દર્દીઓને મળી રાહત –
કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫
દ્વારકાની જાણીતી સેવા સંસ્થા રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન તથા ખંભાળિયાની સંસ્થા જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટથી ખાસ ઉપસ્થિત રહેલા ડો. મધુબેન જોષી દ્વારા વિવિધ રોગોના દર્દીને વિના મૂલ્યે જરૂરી સારવાર આપવામાં આવી હતી.

જ્યારે માણસ એલોપથીથી કંટાળે છે, ફિઝિયોથેરાપીથી કંટાળે છતાં પણ કોઈ રોગથી મુક્તિ ન મળે, ત્યારે એક્યુપ્રેશર કામ કરતું હોય છે. એ બાબતની સાબિતી તથા એ બાબતને લોકો સમક્ષ લાવવાનું કાર્ય ડો. મધુબેન જોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અંદર આશરે 300 થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો. જેમાં અનેક દર્દીઓ એવા હતા કે જે અસાધ્ય રોગોથી પીડાતા હતા. તેઓને ટૂંકા સમય ગાળામાં બીમારીમાં નોંધપાત્ર ફાયદો થયો જણાતો હતો. સ્વસ્થ થયેલા અને ચાલીને જતા જોવા મળ્યા હતા.
અહીં બોડી વાઇબ્રેશન મસાજ તથા એક્યુપ્રેશરની આ ટ્રીટમેન્ટ દ્વારા દરેક દર્દીની સારવાર કરવામાં આવી હતી. સાથે સાથે આયુર્વેદિક દવાઓનો પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી.
આ આયોજનને સફળ બનાવવા માટે ખંભાળિયાના સેવાભાવી નીશીલભાઈ કાનાણી તથા દ્વારકાના શ્રી ઝાલાભાઈ, વિગેરેનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)