કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ખંભાળિયામાં કુંભારના ભઠ્ઠા પાસેના એસ.ટી. ડેપો વર્કશોપ પાછળના ભાગે રહેતા અને વિક્રમસિંહ ચુડાસમાના પુત્રી દિવ્યાબા યુવરાજસિંહ રાણા (ઉ.વ. 27) ને તેણીના લગ્ન જીવન દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કનજરી ગામે રહેતા તેણીના પતિ યુવરાજસિંહ પ્રદિપસિંહ રાણા, સાસુ મૈયાબા પ્રદિપસિંહ રાણા, નણંદ સોનલબા મયુરસિંહ જાડેજા, નણંદોયા હરેશ ઉર્ફે મયુરસિંહ અરવિંદસિંહ જાડેજા, નણંદ ભરતબા નવજતસિંહ રાઠોડ અને નણંદોયા નવજતસિંહ લખધીરસિંહ રાઠોડ દ્વારા દહેજ માટે નાની-નાની બાબતે ઝઘડો કરી, તેણીને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો.
આટલું જ નહીં, આરોપીઓ દ્વારા દિવ્યાબાને બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ છ સાસરિયાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
____________________________________________________________________________
ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા
ખંભાળિયાથી આશરે 18 કિલોમીટર દૂર ભાડથર ગામેથી પોલીસે રાજુ જીવણ રૂડાચ અને ડાવા નાગશી અવસુરાને ગંજી પાના વડે તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)