જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા ગુનાહિત તત્વો સામે પાસા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરમિયાન એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા સામાજિક ઇસમો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા કાંતિલાલ ડાયાલાલ નકુમ (ઉ.વ. 45) તેમજ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા પ્રોહિ. બુટલેગર સુનિલભા મેરૂભા માણેક (ઉ.વ. 25) સામે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી અને જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવતા તેમના દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને ત્વરિત નિર્ણય લઇ, આ બંને શખ્સોના પાસા મંજૂર કરી, અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
જેને અનુલક્ષીને એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા આ બંને શખ્સોને રાઉન્ડ અપ કરી અને અનુક્રમે મહેસાણા જિલ્લા જેલ અને અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભૂપેશ જોટાણીયા, એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


