– નવા ટ્રસ્ટીઓને જ્ઞાતિજનો દ્વારા આવકાર –
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬
શ્રી ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા ગતરાત્રે નવા ટ્રસ્ટીઓની નિમણૂંક અર્થે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજનના વર્તમાન ટ્રસ્ટી પ્રતાપભાઈ દત્તાણીની અધ્યક્ષતામાં યોજાઈ ગયેલી આ મિટિંગમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં દર ત્રણ વર્ષે ઠરાવ મુજબ ટ્રસ્ટીઓની વરણી બાબતે સર્વે જ્ઞાતિજનોની યોજાયેલી આ જાહેર મિટિંગમાં વર્તમાન ટ્રસ્ટી અને જાણીતા બિલ્ડર અને દાતા સદગૃહસ્થ કમલેશભાઈ વિઠલાણી તેમજ અગ્રણી ઉદ્યોગપતિ પરાગભાઈ બરછા દ્વારા તેમની વ્યવસાયિક તેમજ અન્ય વ્યસ્તતાના કારણે રાજીનામું આપવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત જ્ઞાતિજનો સમક્ષ મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક સેવાભાવી ટ્રસ્ટી અરુણભાઈ મજીઠીયાના દુઃખદ અવસાન બાદ નવા4ટ્રસ્ટીની નિમણુંક કરવાની બાકી હોય, સર્વે સમક્ષ જુના ટ્રસ્ટીઓની ભલામણ અને ચર્ચાઓ બાદ આગામી સમયના ટ્રસ્ટીઓ તરીકે નવા પાંચ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં વર્તમાન ટ્રસ્ટી દિનેશભાઈ દત્તાણી તેમજ નવા ટ્રસ્ટી તરીકે તુલસીદાસભાઈ ભાયાણી, એડવોકેટ જયેશભાઈ નથવાણી, વિવેકભાઈ અરુણભાઈ મજીઠીયા અને ડો. રાજેશભાઈ ઠક્કરના નામો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત રઘુવંશી જ્ઞાતિજનોઓ દ્વારા પુખ્ત વિચારણાના અંતે ઉપરોક્ત તમામ નામોની જાહેરાતને સૌ લોકોએ તેમને હર્ષભેર વધાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરાંત ટ્રસ્ટીઓના સૂચનથી કમિટી મેમ્બર તરીકે નિશિલભાઈ કાનાણી અને સમીરભાઈ ચંદારાણાના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. આમ, આગામી ત્રણ વર્ષ માટે આ સમગ્ર ટીમ દ્વારા શ્રી ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કમિટી મેમ્બરની ટીમ દ્વારા ખંભાળિયા રઘુવંશી સમાજ તેમજ જ્ઞાતિ હિતના કાર્યો કરવામાં આવશે તેમજ તમામ સંસ્થાઓ તથા જ્ઞાતિજનોને સાથે રાખીને જ્ઞાતિ હિતના કાર્યોને આગળ ધપાવવામાં આવશે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
