મજામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬
દ્વારકા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી વૈશાખ સુદ ચતુર્દશીને ગુરુવાર તા. 30 ના રોજ ભગવાન નૃસિંહ જયંતિનો પાવન ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે. આ અવસરને અનુલક્ષીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમો તેમજ દર્શન વ્યવસ્થામાં તાત્કાલિક ફેરફારો કરવામાં આવ્યા છે.
દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ગુરૂવારે શ્રીજીની મંગલા આરતી સવારે 6:30 વાગ્યે યોજાશે. ત્યાર બાદ સવારના દર્શન તથા અન્ય નિયમિત ક્રમ યથાવત્ રહેશે. બપોરે 1 થી 5 વાગ્યા સુધી મંદિર અનોસર (બંધ) રહેશે.
સાંજે 5 વાગ્યે શ્રીજીના ઉત્થાપન દર્શન ખુલશે અને સાંજે 6 સુધી ભક્તોને આ દર્શનનો લાભ મળશે. ત્યાર બાદ સાંજે 6 થી 7:30 દરમિયાન અભિષેક પૂજા બંધ પડદે યોજાશે. સાંજે 7:30 વાગ્યે નૃસિંહ જયંતિ નિમિત્તે વિશેષ ઉત્સવ તેમજ સંધ્યા આરતી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે.
આ દર્શનના સમયપત્રકમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખી સહકાર આપવા અને સુવ્યવસ્થિત રીતે દર્શનનો લાભ લેવા મંદિર સંચાલન દ્વારા ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.
