જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓની વહારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાણવડનું ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ આવ્યું છે.
સંસ્થા દ્વારા તાજેતરમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ભાણવડ પંથકના જીવદયા પ્રેમીઓએ લીધો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં મુખ્ય દાતા તરીકે શ્રી વિશા શ્રીમાળી જૈન શ્વેત મૂર્તિ તપ સંઘ દેરાસર – ભાણવડનો વિશેષ સહયોગ સાથે અન્ય દાતાઓએ પણ ઉદાર હાથે ફાળો આપી પોતાનું યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટે લોકોને માનવતાના ધોરણે અપીલ કરી હતી કે, દરેક નાગરિક પોતાના ઘરની અગાસી કે આજુબાજુમાં પક્ષીઓ માટે પાણી અને ચણની કાયમી વ્યવસ્થા કરે તે જરૂરી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવ બળદ આશ્રમના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
સંસ્થા દ્વારા વધુમાં જણાવાયું છે કે, વિતરણ બાદ હવે આગામી ટૂંક સમયમાં શહેરની વિવિધ જાહેર જગ્યાઓ પર પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘર સંસ્થાના સભ્યો દ્વારા સ્વહસ્તે લગાવવામાં આવશે. જેથી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને તરસ છિપાવવા માટે ભટકવું ન પડે.









