ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર
દેશ આઝાદ થયો તેના એક દિવસ અગાઉ ૧૪ ઓગસ્ટના રોજ અખંડ ભારત સ્મૃતિ દિવસ મનાવવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. આ જ પરંપરાગત પ્રથા અનુસાર ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ અને શુક્રવારના રોજ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર કાર્યાલય ખાતે વિનાશક વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત એક વિશેષ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના ભાગલા પછીની દારૂણ કરુણાન્તિકાને યાદ કરતા આ કાર્યક્રમમાં વક્તા તરીકે પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાણીએ ખૂબ જ ધારદાર અને પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ ગોહિલ, મુકેશભાઈ ડાભી તેમજ નિલેશભાઈ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેર અને સંગઠનના પદાધિકારીઓ, મહાનગરપાલિકાના નગરસેવકો, વરિષ્ઠ આગેવાનો, વિવિધ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો, સંગઠનના પૂર્વ હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ આઝાદીના સમયની હૃદયદ્રાવક કરુણાન્તિકા અંગેના વક્તવ્યને સજળ આંખોએ સાંભળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓને વિભાજનની વિભીષિકા દર્શાવતી વિશેષ પીપીટી પ્રસ્તુત કરવામાં આવી હતી, જેને નિહાળીને ત્યાં ઉપસ્થિત લોકો ભાવુક થઈ ગયા હતા અને ઇતિહાસના તે કાળા દિવસોને યાદ કર્યા હતા.
