વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૪
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે 4 અજાણ્યા શખ્સો દ્વારા ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના ૩૭ વર્ષીય ટ્રક ડ્રાઈવર ઘુઘાભાઇ ઉર્ફે રાજુભાઇ વાલજીભાઈ ગઢાદરા પર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો. ફરિયાદી જ્યારે પોતાનો છ વ્હીલ ટ્રક લઈને રેતી ભરવા લાખાણકા તરફ જઈ રહ્યા હતા, ત્યારે બે મોટરસાયકલ પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમને આંતરી રેતીના ભાવ બાબતે બોલાચાલી કરી હતી. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ફરિયાદીને ટ્રકમાંથી નીચે ઉતારી લાકડાના ધોકા અને છરી વડે બેરહેમીથી માર માર્યો હતો, જેમાં ફરિયાદીનો ડાબા હાથનો અંગૂઠો છુંદાઈ ગયો છે અને જમણા હાથની બે આંગળીઓ આગળના ભાગેથી કપાઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ડ્રાઈવરને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં હતા જ્યાં આજે તેમનું મોત નીપજ્યું, પોલીસે ચાર અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
