વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૪
ભાવનગરની શ્રી જ્ઞાનમંજરી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોની જેમ ભાષાને પણ ખૂબ જ મહત્વ અપાય છે. ધોરણ – ૧૦માં ‘વાર્તાલેખન’ નામનો મુદ્દો તેઓના અભ્યાસક્રમમાં છે. વર્ગમાં આ મુદ્દો ભણાવતી વખતે (પરીક્ષામાં પૂછાય એ રીતે) મુખ્ય નિયમો અને ઉદાહરણ સ્વરૂપે વાર્તાઓ કરાવ્યા પછી આધુનિક વાર્તાલેખન વિધાર્થી પાસે કરાવવાનું વિચાર્યું. આ કાર્યમાં મા. નાકરાણીસરનું માર્ગદર્શન અને જયશ્રીમેમનો ખૂબ સહકાર સાંપડ્યો.શરૂઆતમાં આ કાર્ય ખૂબ કઠિન દેખાયું. કારણ કે, કક્કો-બારાક્ષરી પહેલા તાસમાં કરાવવા પડતા. પરંતુ વિધાર્થીઓને નવી-નવી વાર્તાઓનો અને વિશ્વપ્રસિદ્ધ વાર્તાઓનો સારાંશ સાંભળવાની રૂચિ જોઈ આ કાર્ય ઉત્સાહથી થઇ શકશે એવું લાગ્યું. ભાષાશિક્ષક તરીકે શિક્ષકોનો હેતુ ગુજરાતી ભાષાના વાંચન લેખન તરફ વળે. સંવેદના અનુભવી તેને શબ્દસ્વરૂપ આપે એ હતો. તે માટે હું ગુજરાતીના તાસમાં એક આધુનિક વાર્તાનો મુદ્દો આપતો અને પછી વર્ગમાં જ એ મુદ્દા પરથી વાર્તા આગળ વધારવા કહેતો. આમ આધુનિક વાર્તાઓ વર્ગમાં તૈયાર થવા લાગી. આધુનિક વાર્તાલેખન કરાવવાના ત્રીજા વર્ષે અમારી ધારણા કરતાં પણ સુંદર વાર્તાઓ લખાય. તેમાંથી સર્જનકળાની દ્રષ્ટિએ વધારે યોગ્ય હોય તેવી વાર્તાઓ પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનું વિચાર્યું. જે વાર્તાઓ વાંચતી વખતે તમને ચોક્કસપણે કોઈ ઉચ્ચ લેખકની નજીકનું લખાણ લાગશે. આ રીતે કદાચ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ વાર્તાનું એવું પુસ્તક બન્યું જે અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ ગુજરાતીમાં લખ્યું.
પસંદ કરેલી વાર્તાઓમાંથી અમુક જ વાર્તાઓના વિષયો કહું છું. જુઓ…. અજાણ્યા ટાપુના રહસ્યની વાત, તો કોઈ વાર્તામાં ઈ.સ. ૩૦૫૦ની વાત, જયારે કયાંક વૈજ્ઞાનિક ઘરમાં રહેલા ટાઈમ મશીનની વાતની સાથે સાથે વૃક્ષોનું મહત્વ જેવા અનેક વિષયો પર વિધાર્થીઓએ અમારી નજર સામે બેસીને વાર્તાઓનું લખાણ કરે છે.વાચકવર્ગને, શિક્ષકોને, વાલીઓને અને ખાસ કરીને વિધાર્થીઓને આ વાર્તાઓ રસપ્રદ અને સાહિત્યસર્જન કરવા – કરાવવા પ્રેરણા પૂરી પાડશે.
