Headlines

ભાવનગરના  પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયાં

આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૨૬

ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહાસંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ તથા સર્વે શ્રદ્ધાળુ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ,આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. “મંદિર માત્ર ઈંટ-પથ્થરની ઈમારત નથી, પરંતુ તે અખંડ આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક છે,” એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના અડગ સ્વાભિમાનને યાદ કરતાં જણાવ્યું કે અનેક આક્રમણો છતાં અવિચળ રહેલું સોમનાથ ભારતની આત્મશક્તિ અને આસ્થાનું પ્રતિક છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આધુનિકતા અને ટેકનોલોજીના યુગમાં પણ આધ્યાત્મિકતા એટલી જ જરૂરી છે. શ્રીમદ ભાગવત અને ભગવદ ગીતા જીવનમાં મૂલ્યો અને માર્ગદર્શન આપે છે. ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકામાં નિવાસ કરીને ધર્મ અને કર્તવ્યનિષ્ઠ જીવનનું આદર્શ પ્રસ્થાપિત કર્યું છે, તે બાબતનું સ્મરણ પણ તેમણે કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સનાતન સંસ્કૃતિ અને વિરાસતના ગૌરવને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. “વિકસિત ભારત 2047”ના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગે સંસ્કાર અને સમર્પણ સાથે આગળ વધવું જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે ગાયત્રી આશ્રમ ગધેથડથી પધારેલા પૂજ્ય લાલબાપુ દ્વારા વ્યસનમુક્તિ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અભિયાનને યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી ગણાવી તેની સરાહના કરી હતી.

આ પ્રસંગે પૂજ્ય સંતશ્રી લાલબાપુ, ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ  જગદીશ વિશ્વકર્મા, કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, ધારાસભ્યો સર્વ  શંભુપ્રસાદ ટુંડીયા અને  કિરીટસિંહ રાણા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અગ્રણી  દિગ્વિજયસિંહ ગોહિલ, ઈ. ચા. કલેકટર શ હનુલ ચૌધરી સહિત અધિકારીઓ, સંતો- મહંતો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *