Headlines

ખેડુતો માટે ઉનાળુ કઠોળના પાકમાં સંકલિત રોગ- જીવાત નિયંત્રણ અંગે માર્ગર્શીકા જાહેર

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર

પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા પોરબંદર જિલ્લાના ખેતુતો માટે ઉનાળુ કઠોળ પાન ટપકાં, પીળો પચરંંગીયા, બેક્ટેરીયલ બ્લાઇટ જેવા રોગ તેમજ સફેદ માખી, તડતડીયા જેવી ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે જે પ્રમામે ખેડુતોએ રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.

મગ અને ગુવારમાં બેક્ટેરીયલ બ્લાઇટ રોગના નિયંત્રણ માટે બિયારણને સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૨૫૦ પીપીએમના દ્રાવણમાં ૩૦ મીનીટ સુધી બોળી રાખીને સુકાયા પછી વાવણી કરવી તેમજ પાક પર રોગની શરૂઆત થયે સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧ ગ્રામને ૧૦ લીટર પાણીમાં અથવા કસુગામાઇસીન ૫% + કોપર ઓક્સીક્લોરાઇડ ૪૫% વે.પા. ૧૫ ગ્રામને ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે લીમડાનું તેલ ૩૦ મી.લી. પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

સફેદમાખી, તડતડીયાં, લીફ વેબર જેવી ચૂસિયા જીવાતોનો વધુ ઉપદ્રવ જણાયેથી રાસાયણિક નિયંત્રણ માટેઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મી.લી./૧૦ લીટર અથવા થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુ.જી ૪ ગ્રામ/ ૧૦ લીટર અથવા એસીફેટ ૭૫% એસ.પી. ૧૦ ગ્રામ/ ૧૦ લીટર પ્રમાણે છંટકાવ કરવો. શિંગ કોરી ખાનાર ઇયળના રાસાયણિક નિયંત્રણ માટે સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૧.૬ મી.લી/ ૧૦ લીટર અથવા ઇમાબેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી. ૩ ગ્રામ/ ૧૦ લીટર પ્રમાણે પ્રથમ છંટકાવ ૫૦ ટકા ફૂલ અવસ્થાએ જ્યારે જરૂર જણાય તો ૭-૧૦ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.

ભૂકી છારો રોગની શરૂઆત થયેથી હેક્ઝાકોનાઝોલ ૫ ઇ.સી ૧૦ મી.લી. અથવા વેટેબલ સલ્ફર ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ત્યારબાદ ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. પાનનાં ટપકાંનો રોગ (સરકોસ્પોરા)ની શરૂઆત થયેથી હેક્ઝાકોનાઝોલ ૫ ઇ.સી. ૧૦ મી.લી. અથવા કાર્બેન્ડેઝીમ ૫૦% વે.પા. ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૨ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. પીળો પચરંગીયો રોગના લક્ષણ જોવા મળે ત્યારે સફેદમાખી કે મોલોમશીના નિયંત્રણ માટે ભલામણ કરેલ શોષક પ્રકારની જંતુનાશક દવા છાંટવી.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. તેમજ ઉપરોક્ત માહિતીનો સંદર્ભ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી છે.

તેમજ આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *