જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ રૂપસંગ ગોહિલ નામના 37 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે સાંજના સમયે ભરાણા ગામના સીમ વિસ્તારમાં આવેલી નદી કાંઠે બાવળના ઝાડની ઝાડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ જગમાલજી રૂપસંગ ગોહિલ (ઉ.વ. 50, રહે. ભરાણા)એ વાડીનાર મરીન પોલીસને કરી છે.
_____________________________________________________________________________
ભાણવડ નજીક પુરપાટ જતા બાઈકની ઠોકરે રાહદારીઓ ઘવાયા
ભાણવડથી આશરે ચાર કિલોમીટર દૂર રેલવે ફાટક પાસે એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 03 એચ.એલ. 6765 નંબરના એક મોટરસાયકલના ચાલકે આ માર્ગ પર કેટલાક રાહદારીઓને ઠોકરે લીધા હતા.
આ બનાવ અંગે ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડવા સબબ વશરામભાઈ દેવશીભાઈ પીપરોતર (ઉ.વ. 42, રહે. ઘેલડા ગામ, તા. જામ જોધપુર)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે મોટરસાયકલના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
