દ્વારકામાં શ્રી રવિરાંદલ માતાજી મંદિરે ભવ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬
દ્વારકા શહેરમાં આવેલા પૌરાણિક શ્રી રવિ રાંદલ માતાજી મંદિર ખાતે ભવ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન આગામી રવિવાર તા. 3 મે ના રોજ કરવામાં આવ્યું છે. દ્વારકામાં કકળાશ કુંડ પાછળ આવેલ આ પવિત્ર ધામમાં સવારે 11 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી આ ધાર્મિક મહોત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
આ પાવન પ્રસંગે માતાજીને કેરી અર્પણ કરવાનો વિશેષ મહિમા રહેલો હોવાથી ભક્તોને આંબા (કેરી) અર્પણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આયોજન સમિતિ દ્વારા જણાવાયું છે કે, આ મનોરથમાં રોકડ રકમ સ્વીકારવામાં નહીં આવે અને ફક્ત કેરી દ્વારા જ ભાવ પ્રગટ કરવા વિનંતી કરવામાં આવે છે. આ પવિત્ર યજ્ઞમાં સહભાગી બનવા ઇચ્છતા ભક્તોએ તા. 2 સુધીમાં મંદિર ખાતે કેરી જમા કરાવવાની રહેશે.
કાર્યક્રમના અંતે સાંજે મહાઆરતીનું પણ ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં હાજર રહેલા ભક્તોને આધ્યાત્મિક આનંદનો અનુભવ થશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કાર્યકરો દ્વારા વ્યાપક તૈયારી હાથ ધરવામાં આવી છે. શહેર અને આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓને આ ધાર્મિક ઉત્સવમાં જોડાઈ માતાજીના આશીર્વાદ મેળવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
