જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના તથિયા ગામે માનવતા અને પશુપ્રેમનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે. ગામના એક ખેડૂતના આશરે 50 ફૂટ ઊંડા કૂવામાં અચાનક એક શ્વાન પડી જતાં ગામમાં દોડધામનો માહોલ સર્જાયો હતો. કૂવો ઊંડો અને જોખમી હોવાને કારણે સ્થાનિક લોકો માટે શ્વાનને બહાર કાઢવું મુશ્કેલ બની રહ્યું હતું.
આ ઘટના અંગે ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તુરંત જરૂરી સાધનો સાથે તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ સંસ્થાની ટીમે પરિસ્થિતિનો તાગ મેળવીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કૂવો ઊંડો અને સંકુચિત હોવાને કારણે કાર્ય ખૂબ જ જોખમી હતું. તેમ છતાં ટીમના એક સભ્યે હિંમતપૂર્વક દોરી અને સુરક્ષા સાધનોની મદદથી કૂવામાં ઉતરી શ્વાન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો।
ઘણાં પ્રયત્નો બાદ અંતે શ્વાન સુધી પહોંચવામાં સફળતા મળી હતી અને ખૂબ જ સાવચેતીપૂર્વક તેને દોરીના સહારે બહાર કાઢવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ દરમ્યાન ટીમે સંપૂર્ણ સલામતી જાળવી રાખી અને શ્વાનને કોઈ ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખી હતી. શ્વાનને બહાર કાઢતા ગામલોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. શ્વાન સુરક્ષિત હોવાનું જાણી ગ્રામજનો અને ખેડૂતએ સંસ્થાના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઘણા લોકોએ સંસ્થાના કાર્યની પ્રશંસા કરી અને આવા સેવાકીય કાર્યને સમાજ માટે પ્રેરણાદાયક ગણાવ્યું હતું.
એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિસ્તારના અનેક ગામોમાં અબોલ જીવો માટે સતત સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્વારા ઇમરજન્સી રેસ્ક્યુ, સારવાર અને જાગૃતિ જેવા કાર્યો દ્વારા અનેક નિર્દોષ પ્રાણીઓના જીવ બચાવવામાં આવ્યા છે.
