જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬
ખંભાળિયામાં ન્યુ સલાયા ગેઈટ નજીક આવેલી જૂની અને જાણીતી શ્રી ગોવર્ધન નાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળાની ઋતુમાં મધ્યમ વર્ગના તથા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્રમાં દરરોજ આશરે 170 જેટલા લાભાર્થીઓ લાભ લ્યે છે.
આ સેવાકીય પ્રવૃતિ સાથે આગામી ગુરુવાર તા. 11 ના રોજ પવિત્ર પુરુષોત્તમ માસની અગિયારસને ધ્યાનમાં રાખીને કેનેડા સ્થિત દાતાઓના સહયોગથી આ તમામ પરિવારોને વિવિધ ચીજ વસ્તુઓ સાથેની રાશન કીટનું વિતરણ કરવામાં આવનાર છે. ગુરુવારે સાંજે 5 થી 7 દરમિયાન શ્રી ગોવર્ધનનાથજીની જૂની હવેલીમાં યોજવામાં આવેલા આ રાશન કીટ વિતરણ કાર્યક્રમ માટે વૈષ્ણવ પરિષદ સંચાલિત છાશ કેન્દ્રના સંચાલકો, આગેવાનો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
