
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે અશક્ત અને નિરાધાર બળદોને આજીવન આશરો આપતા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘શિવ બળદ આશ્રમ’ ઉત્તમ સુવિધાઓ અને પૌષ્ટિક આહાર માટે જાણીતું છે.
હાલ કેરીની સિઝનમાં અહીંના મૂંગા જીવો પણ આ સ્વાદથી વંચિત ન રહે તે માટે એક અનોખું આયોજન કરાયું હતું. આશ્રમના તમામ બળદોને પશુ સ્વાસ્થ્ય માટે હિતધરાવતી, કુદરતી રીતે પકાવેલી અને કાર્બન રહિત 1250 કિલો ઓર્ગેનિક ઉત્તમ કેરીનો વિશેષ સ્વાદ કરાવાયો હતો. આશ્રમના સભ્યોનો મુખ્ય હેતુ એ છે કે, આજીવન માણસનો સાથ આપનાર આ અબોલ જીવોને તેમની પાછલી જિંદગીમાં કોઈ ખોટ કે વસવસો ન રહે.

આ પ્રેરણાદાયી સેવાયજ્ઞને સફળ બનાવવા માટે શિવ બળદ આશ્રમના સભ્યોની સાથે ભાણવડના જલારામ યુવક મંડળના સભ્યો પણ ઉત્સાહભેર જોડાયા હતા. જીવદયાના આ અદભુત કાર્યને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહ્યું છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
