શંભુ સિંહ ભાવનગર
પાણી ભરાવા અને ખરાબ હવામાનને કારણે મુસાફરોની સુરક્ષા માટે રેલવે દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા
ભારે વરસાદ, પાણી ભરાવા તથા ઓપરેશનલ કારણોસર પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ દોડતી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના પરિચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રેન નંબર 19015 દાદરથી પોરબંદર વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે તારીખ 26-7-2026ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોની સગવડને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે જેમાં ટ્રેન નંબર 19120 વેરાવળથી ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ જે તારીખ 24-7-2026ના રોજ ઉપડવાની હતી તે સુરેન્દ્રનગર જંક્શન અને ગાંધીનગર કેપિટલ વચ્ચે અંશતઃ રદ રહેશે અને આ ટ્રેન ફક્ત વેરાવળ અને સુરેન્દ્રનગર જંક્શન વચ્ચે જ ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલથી વેરાવળ એક્સપ્રેસ જે તારીખ 25-7-2026ના રોજ નિર્ધારિત હતી તે ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર જંક્શન વચ્ચે અંશતઃ રદ રહીને વેરાવળ અને સુરેન્દ્રનગર જંક્શન વચ્ચે જ દોડશે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે ટ્રેન નંબર 11463 વેરાવળથી જબલપુર એક્સપ્રેસ જે તારીખ 24-7-2026ના રોજ ઉપડવાની હતી તેને વિરમગામ જંક્શન, કટોસણ રોડ, કલોલ અને અમદાવાદ થઈને બદલાયેલા માર્ગ પર ચલાવવામાં આવશે જેથી મુસાફરોએ પ્રવાસ કરતા પહેલા ટ્રેનની સ્થિતિ ચકાસી લેવા અપીલ કરાઈ છે.
