[[આમ બન્યું કે એમ બન્યું?]]
[[[ઇન્ટેન્શનલ ડેથ (હત્યા) અને એક્સિડેન્ટલ વચ્ચેનો તફાવત]]]
પોરબંદરમાં વિનોદે લાફા માર્યા પછી દેવજીનું મૃત્યુ થયું: પોલીસે એડી દાખલ કરી
વિનોદના બે લાફાને કારણે જ દેવજીનું મૃત્યુ થયું હોવાનું અત્યાર સુધીની તપાસમાં ફલિત થતું નથી: પોલીસ
પોરબંદર
પોરબંદરમાં દેવજી વાંદરિયા નામના એક ખારવા વાળમાં રહેતા યુવકને વિનોદ બાબુ નામના એક શખ્સ સાથે ઝઘડો થયા બાદ થોડા સમયમાં જ તેને દવાખાને લઈ જવાયા બાદ તેનું મૃત્યુ થયું છે ત્યારે પોલીસે આ ઘટનામાં હત્યાની કલમ લગાડવાને બદલે માત્ર એડી દાખલ કરી હોવાને કારણે આ ઘટના એ વાતનું આલંબન બની હતી કે પોલીસે આ પ્રકારની કાર્યવાહી કેમ કરી? જોકે પોલીસ આ ઘટનામાં ઇન્ટેન્શનલ ડેટ અને એક્સિડેન્ટલ ડેટ વચ્ચેનો તફાવત બરાબર સમજીને આગળની કાર્યવાહી કરી રહી હોવાનું પણ સમજાઈ રહ્યું છે. આ ઘટનામાં વિનોદ બાબુ એ દેવજી વાંદરિયાને બે લાફા માર્યા હોવાથી જ તેનું મૃત્યુ થયું છે એમ પોલીસ સમક્ષ સ્પષ્ટપણે સિદ્ધ નહીં થતું હોવાને કારણે પોલીસે હાલ પૂરતી એડી દાખલ કરી છે અને તે પ્રમાણે તપાસ હાથ ધરી છે એટલું જ નહીં શંકાનું કોઈ જ કારણ ઉપસ્થિત ન રહે તે માટે પોલીસે ફોરેન્સિક પીએમ ની કાર્યવાહી પણ ચાલુ રાખી છે. આ બનાવને હત્યા કહી શકાય તેવું કોઈ જ કારણ પોલીસને હજુ સુધી મળ્યું નથી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટનામાં મરણ જનાર દેવજીભાઈ કાનજીભાઈ વાંદરીયા (ઉ.વ.૪૮ રહે. ખારવાવાડ ચોગાન ફળીયુ પોરબંદર) સાથે વિનોદ બાબુએ ઝઘડો કરેલ. બાદ મરણ જનાર પડી જતા મરણ જનારને શરીરે અંદરના ભાગે કોઈ મુંઢ ઈજા થવાથી અથવા કોઈ અગમ્ય કારણસર મરણ ગયા છે.
તા.૧૪/૧૨/૨૦૨૪ કલાક ૧૧/૪૫ પહેલા કોઈ પણ સમયે કિર્તીમંદિર થાણાથી પશ્ચિમે ૧ કિ.મી દુર શહિદ ચોક, ખારવાવાડ પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે ધનસુખભાઈ કાનજીભાઈઅ વાંદરીયા (ઉ.વ.૪૨ ધંધો.ડ્રાઈવિંગ રહે. નવાપાડા પોલીસ ચોકી પાસે ગલીમાં પોરબંદર)એ પોલીસને જાણ કરી હતી આ અંગે કીર્તિ મંદિર પોલીસમાં એડી એટલે કે એક્સિડન્સીયલ ડેટ ની નોંધ થતા પીઆઇ જે.જે ચૌધરીએ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે શરૂઆતમાં કહેવાઇ રહ્યું હતું કે બે વ્યક્તિઓના ઝઘડા બાદ અને ઝપાઝપી બાદ મરનારનું મૃત્યુ થયું છે તેથી આ બનાવો હત્યાનો છે પરંતુ આશ્ચર્ય વચ્ચે પોલીસે એની દાખલ કરી છે ત્યારે આવું કેમ? એ સવાલ શહેરમાં સતત ચર્ચાનું કારણ બની રહ્યો હતો. જોકે આ બનાવમાં ઇન્ટેન્શનલ ડેથ અને એક્સિડેન્સીયલ ડેથ વચ્ચેનો તફાવત બરાબર સમજીને પોલીસ તપાસ કરી રહી છે.
હત્યા હોવાનું કોઈ સીધું કારણ સ્પષ્ટ થતું નથી: પીઆઇ જે.જે ચૌધરી
બે વ્યક્તિઓના ઝઘડા પછી જ મૃત્યુ થયું હોવા છતાં આ કેસમાં હત્યાની ફરિયાદ શા માટે નહીં? એવો સવાલ કિર્તિ મંદિર પીઆઇ જે ચૌધરીને કરતા તેમને કહ્યું કે આ બનાવમાં મરનાર દેવજીભાઈ ને વિનોદ બાબુ સાથે ઝઘડો તો થયો હતો પરંતુ વિનોદ બાબુએ મરનારને બે લાફા માર્યા હતા તેવી માહિતી મળે છે અને બંને વચ્ચે ઝઘડો થયા પછી તે ઘરે પણ ગયો હતો અને કેટલાક લોકોને જાણ પણ કરી હતી કે આ ઝઘડો થયો હતો પરંતુ ત્યાર પછી કોઈ કારણસર તે પડી ગયો હતો અને દવાખાને લઈ જતા તેનું મૃત્યુ થયું છે. આના કારણે એવું સીધી રીતે કહી શકાતું નથી કે વિનોદના મારવાથી જ તેનું મૃત્યુ થયું છે. આ અંગે પ્રાઇમરિ પોસ્ટમોટમમાં કારણ સ્પષ્ટ થયું નથી અને બીજા કોઈ આધાર મળતા નથી કે જેમાં આ બનાવને હત્યાનો કહી શકાય. તેથી પોલીસે આ બનાવવામાં હાલ પૂરતી એડી દાખલ કરી છે અને આ સાથે જ તેનું જામનગર ખાતે ફોરેન્સિક પીએમ કરાવવા માટે વિશેરા લેવામાં આવ્યા છે તેનો ફાઇનલ રિપોર્ટ મળ્યે બનાવ અંગેનું કારણ સ્પષ્ટ થશે. આમ, આમ હાલમાં બનાવ માં હત્યા થયાનું કોઈ સીધું અને સ્પષ્ટ કારણ દેખાતું નહીં હોવાથી પોલીસે એડી દાખલ કરી છે અને તપાસ ચાલુ છે. હાલમાં ઉપલી સપાટી ઉપર જે કંઈ દેખાઈ રહ્યું છે તે સિવાયનું પણ બીજું કોઈ કારણ હશે તો તે તપાસમાં સ્પષ્ટ થશે.