બહાનું જુદું, ઇરાદો જુદો
કુછડીના ખેડૂતની જમીન વેચાવી દેવા માટે ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો
મૂળ ઇરાદો જમીન વેચાવવાનો જ હતો પણ આરોપીઓએ દેખાવ પૂરતું બહાનું એ કાઢ્યું કે તેં શેઢા ઉપરનો આંકડો કેમ કાપી નાખ્યો?
પોરબંદર
કુછડીમાં એક ભાઈ પોતાની જમીન વેચતા નહોતા એટલે એમની જમીન વેચાવી દેવા ઇચ્છનાર ત્રણ વ્યક્તિઓએ શેઢા ઉપરનો આંકડો કેમ કાપી નાખ્યો? એવું ડુપ્લીકેટ બહાનું કાઢીને (મૂળ તો જમીન વેચાવી દેવા માટે) તેના પર ધોલ-થપાટ, ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો કર્યો હતો. નાગાભાઇએ ત્રણેય સામે પોલીસ ફરિયાદ કરી નાખી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે નાગાભાઇ માલદેભાઇ કુછડીયા (ઉ.વ.૪૫ જાતે- મેર ધંધો-ખેતી રહે.કુછડીગામની દેસાવાવ વાડી વિસ્તાર કે.કે.નગર રોડ તા.જી.પોરબંદર)એ (૧) રમેશ ભકાભાઇ કુછડીયા (૨) ભકા લાખાભાઇ કુછડીયા (૩) કરશન લાખાભાઇ કુછડીયા (રહે.ત્રણેય કુછડીગામની દેસાવાવ વાડી વિસ્તાર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપીઓને ફરીયાદી પોતાનું ખેતર વેચતો ન હોય તેનું મન દુખ રાખી આરોપી રમેશે ફરિયાદીને સેઢા ઉપરનો આંકડો કેમ કાપી નાખ્યો તેવું બહાનુ કરી ભુંડી ગાળો કાઢી થપાટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી ભકાએ કુહાડીના હાથાથી ફરીયાદીને શરીરે આડેધડ મારમારી મુઢ ઇજા કરી તથા આરોપી કરશને ભુંડી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી. તા.૨૯/૧૨/૨૦૨૪ કલાક ૯/૩૦ ના અરસામાં કુછડી ગામની દેસાવાવ વાડી વિસ્તાર કે.કે.નગર રોડ ઉપર બનેલી આ ઘટના અંગે હાર્બર મરીન પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨),૩૫૧(૩),૩૫૨, ૫૪ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ થતાં જમાદાર બી ડી વાઘેલાએ તપાસ હાથ ધરી છે.