જામ ખંભાળિયા, તા. ૦૮-૦૧-૨૦૨૫
ગત ડિસેમ્બરથી શરૂ થયેલા ધનુર્માસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ રહેતી હોય, આ માસ દરમિયાન ચાર અલગ અલગ દિવસોએ ધનુર્માસની પરંપરા અનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ યોજાય છે. જે ક્રમ મુખ્યત્વે ગુરૂવાર તથા મંગળવારે કરવામાં આવે છે. આ વખતે 19 અને 24 મી ડિસેમ્બર 2024 તેમજ 7 તથા 9 જાન્યુઆરી 2025 ના રોજ જગતમંદિરમાં ધનુર્માસ અનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ નિર્ધારિત હોય, ધનુર્માસમાં ઠાકોરજીને સૂર્યોદય પહેલાં અભિષેકનું મહત્ત્વ હોવાથી આવતીકાલે ગુરુવાર તારીખ 9 ના રોજ ધનુર્માસ ક્રમનો ચતુર્થ અને અંતિમ દિવસ છે. જેથી ઠાકોરજીની મંગલા આરતી સવારે 5:30 વાગ્યે યોજાશે.
બાદમાં સૂર્યોદય પહેલા ઠાકોરજીને સ્નાનાદિ અભિષેક ક્રમ થશે. ધનુર્માસના ચાર દિવસોમાં જગતમંદિરમાં સવારે 5:30 થી 10:30 સુધીમાં સાત ભોગ તથા બે આરતીનો ક્રમ યોજાય છે. સવારે 9:45 વાગ્યે ઠાકોરજીને રાજભોગ અર્પણ કરાય છે અને 10:30 વાગ્યે અનોસર (મંદિર બંધ) થાય છે. સાંજનો ક્રમ નિત્યક્રમ અનુસાર યોજવામાં આવે છે.
આ સાથે ચાલતી શીત લહેરમાં ચાલતાં ધનુર્માસમાં ભગવાન દ્વારકાધીશ મંદિરમાં પણ પૂજારી દ્વારા ધનુર્માસમાં કાતીલ ઠંડીના દિવસોમાં ઠાકોરજીની સેવાનો પ્રકાર, વસ્ત્ર પરિધાન, આભુષણો, શૃંગાર, ભોગ ઈત્યાદિ મૌસમને અનુરૂપ કરવામાં આવે છે અને ઋતુ અનુસાર ઠાકોરજીની સેવા કરવામાં આવે છે. આ ઉપરાંત તીવ્ર ઠંડી હોય ત્યારે જગતમંદિરના પૂજારીઓ દ્વારા ઠાકોરજીને સવારે મંગલા આરતી તેમજ અભિષેક પૂજન બાદ અને સાંજે સંધ્યા સમય બાદ ચાંદીની અંગીઠીમાં અગ્નિ પ્રજવલિત કરી, ઉષ્માર્પણનો ભાવ વ્યકત કરાય છે.
(કુંજન રાડિયા)
