- રહેણાંક સાથે વધુ બે ધાર્મિક દબાણો પણ દુર કરાયા
- ત્રણ દિવસમાં 35.5 કરોડની 61 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ઓખા મંડળમાં શનિવારથી હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલીશનના આજે સોમવારે ત્રીજા દિવસ સુધી અંદાજિત 260 થી વધારે રહેણાંક બાંધકામો તોડી, 61 હજાર ચો.મીટર જેટલી જમીન ખુલ્લી કરાઈ છે. જેની બજાર કીંમત આશરે રૂ. 35.5 કરોડથી વધારે આંકી શકાય.
આ સાથે ઓખા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ત્રણ ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવેલા હતા. આ ધાર્મિક દબાણની જગ્યાની કિંમત આશરે સવા ત્રણ કરોડ જેટલી આંકવામાં આવી હતી.
બેટના બાલાપર વિસ્તારમાં આજરોજ પ્રાંત અધિકારી અમોલ આવટે તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો આપતા પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું કે ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી રહેલી એક દરગાહ સંદર્ભે તંત્ર દ્વારા જુલાઈ 2023 માં પ્રથમ નોટિસ બાદ જુલાઈ 2024 માં રિમાઇન્ડર નોટિસ અને શનિવાર તારીખ 11 જાન્યુઆરીના રોજ ફાઈનલ નોટિસ આપવામાં આવી હતી. જેનો કોઈ પ્રત્યુતર ન મળતા આ અંગેના દસ્તાવેજોની ચકાસણી કરાયા બાદ આજે આશરે 1,500 સ્ક્વેર મીટરમાં રહેલી આ દરગાહ સરકારી જગ્યા પર હોવાનું ખુલવા પામ્યું હતું અને આ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત રૂપિયા સવા બે કરોડ ગણવામાં આવી રહી છે.
આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં બે ધાર્મિક દબાણની સરકારી જમીન પર સરકારી બુલડોઝર ફર્યું હતું. જેમાં અંદાજિત રૂપિયા સવા ત્રણ કરોડની જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. આ પૂર્વે નિયમ મુજબ ત્રણ નોટિસ તેમજ લાગતા-વળગતાઓ સાથે વાતચીત અને ડોક્યુમેન્ટેશન સંલગ્ન ચર્ચા વિચારણામાં જગ્યાની માલિકી સાબિત ન થઈ શકતા આ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.
આજરોજ દબાણ હટાવ ઝુંબેશના ત્રીજા દિવસના અંતે એક દિવસના કુલ 83 સ્ટ્રક્ચર સહિત ત્રણ દિવસમાં ત્રણ ધાર્મિક સહિત કુલ 260 જેટલા ગૌચર સહિતની સરકારી જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. 60,800 ચોરસ મીટર જગ્યા સરકારી જગ્યા ખુલી થઈ છે. જેની અંદાજિત બજાર કિંમત રૂ. 35.48 કરોડ આંકવામાં આવી છે.
દબાણ હટાવ અંગેની આ સંપૂર્ણ કાર્યવાહીમાં દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેના સીધા માર્ગદર્શનમાં એસ.પી. નિતેશ પાંડેયના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. આજે પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કરવામાં આવેલ કાર્યવાહીમાં કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ઘટી ન હતી. એસ.ડી.એમ.ના જણાવ્યા અનુસાર હજુ આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
(ફોટો:- કુંજન રાડિયા)





