રાજ્ય અને દેશભરમાંથી તેમજ વિદેશમાંથી પણ આવેલા લાખો ભક્તોએ બાપા સીતારામનો નાદ ગજાવ્યો
હરેશ જોષી, કુંઢેલી દ્વારા
મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે સંતશ્રી બજરંગદાસબાપાની 48મી પુણ્યતિથિ ધામધૂમ પૂર્વક અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી.
નાના એવા બગદાણા ગામમાં આજે આ પુણ્યતિથિ મહોત્સવમાં ગુજરાત ભરમાંથી ભાવિક ભક્તોજનો હજારોની સંખ્યામાં જોડાઈને આજના પ્રસંગના સાક્ષી બન્યા હતા.
હૈયેહૈયુ દળાય તેટલી ચિક્કાર મેદની વચ્ચે હજારો ભાવિકોએ સદગુરુ સંત પૂ બજરંગદાસબાપાના ચરણોમાં શિશ ઝૂકાવીને ધન્ય બન્યા હતા…!
વહેલી સવારથી બાપાના ગુરુઆશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમોનો ધમધમાટ જોવા મળ્યો હતો.
જેમાં વહેલી સવારના મંગલા આરતીથી કાર્યક્રમ શરૂ થયો હતો. તેમાં હજારો ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા. ત્યારબાદ ધ્વજા પૂજન અને ધ્વજારોહન થયું હતું. તેમજ સવારના આઠ કલાકથી મહિમા પૂર્ણ ગુરુપૂજન યોજાયું હતું. શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે થયેલા ગુરૂ પૂજન માં મોટી સંખ્યામાં સેવકો જોડાયા હતા. જ્યારે સવારના 10:00 કલાકે બાપાની નગર યાત્રા ગુરૂઆશ્રમ ખાતેથી પ્રસ્થાન થઈ હતી અને સાંજ સુધી બગદાણા ગામમાં ફરી હતી. ખાસ શણગારાયેલા રથમાં પૂ.બાપાના ફોટા સાથે નીકળેલી રંગદર્શી શોભાયાત્રા માં બાપાસીતારામ બાપા સીતારામના જય ઘોષ સાથે હજારો લોકો ભાવ અને શ્રદ્ધાથી જોડાયા હતા. પૂ. બાપાની નગર યાત્રામાં જોડાનાર ભાવિકોએ ફુલ પાંદડી, ચોકલેટ, અબીલ ગુલાલની વર્ષા કરી હતી. ડીજેના તાલ સાથે લોકો બાપાના નામના હર્ષનાદ સાથે આનંદમય બન્યા હતા.
અહીં મંડળના માર્ગદર્શન નીચે તેમજ હજારો સમર્પિત બાપાના સ્વયંસેવકો દ્વારા આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દર્શન, ચા પાણી, રસોડા વિભાગ, ભોજનશાળા, સફાઈ, પાર્કિંગ તેમજ સુરક્ષા વિભાગમાં શિસ્તબદ્ધ અને તાલીમબદ્ધ બહેનો ભાઈઓએ નમૂનેદાર સેવા આપી હતી. સાથે સરકારી વિભાગો તેમજ પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો.
સવારના 10 કલાકથી બહેનો અને ભાઈઓ માટે બે અલગ અલગ ભોજન શાળાઓમાં પંગતમાં બેસીને સર્વેએ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ઉલ્લેખની છે કે લાખો શ્રદ્ધાળુ જનોના હૃદય સિંહાસન પર દેવ કક્ષાએ બિરાજતા સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસબાપાની પ્રતિવર્ષ આ દિવસે (પોષ વદ ચોથ) ધામધૂમથી હજારો – ભાવિકો,સેવકોની વચ્ચે મહાપરીનિર્વાણ તિથિ ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવે છે.




