નેશનલ હાઇવે, ટ્રાફિક પોલીસ અને JCI દ્વારા આયોજન કરાયું
માર્ગ સલામતી ઉજવણી અંતર્ગત સેવા કાર્ય સંપન્ન
પોરબંદર
પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં પરવાહ (care) માર્ગ સલામતી અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરીને રોડ સેફટી મંથ ઉજવવામાં આવે છે.
માર્ગ સલામતી અભિયાન અંતર્ગત નેશનલ હાઇવે, ટ્રાફિક પોલીસ, જેસીઆઈ અને આરોગ્ય વિભાગની ટીમને સંયુક્ત ઉપક્રમે વનાણા ટોલનાકા ખાતે મેડિકલ ચેકઅપ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટર અને કર્મચારીઓ તથા ભાવસિંહજી હોસ્પિટલની બ્લડ બેંકની ટીમે સેવાઓ આપી હતી.
આ મેડિકલ ચેકઅપ અને રક્તદાન કેમ્પમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ અને જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણીએ રક્તદાન કરીને કેમ્પને ખુલ્લો મુક્યો હતો. આ સેવા યજ્ઞમાં ટ્રાફિક પીએસઆઇ કે.એન.અઘેરા, ડો. રામદેભાઈ રાતડીયા, ટોલબુથના મેનેજર પ્રદિપકુમારસિંહ, સંજયસિંહ, જેસીઆઈ પોરબંદરના સેક્રેટરી સમીર ધોયડા, તુષાર એરડા, ટ્રાફિક પોલીસ સ્ટાફ, નેશનલ હાઇવેનો સ્ટાફ અને ટોલબુથનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવા કાર્યને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.










