
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે દિવસ પૂર્વે રજુ કરવામાં આવેલા રાજ્યના વિકાસશીલ બજેટમાં રાજ્યમાં પ્રવાસન, યાત્રાધામ તથા વન પર્યાવરણ વિભાગમાં કરવામાં આવેલી ખાસ જોગવાઈઓને ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આવકારી અને આ વિભાગોના વધુ વિકાસનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ. 3140 કરોડની ખાસ જોગવાઈઓ, બેટ-દ્વારકાના વિકાસ, પડાલા બેટ સહિતના જુદા જુદા વિસ્તારોમાં ટુરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા સાથે ઇકો સેન્સેટીવ ઝોનમાં આવેલા ગામોમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી કરવા, વનોની ગીચતા વધારવા વન વ્યવસ્થાપન માટે ખાસ પ્રોજેક્ટમાં રૂપિયા 225 કરોડની ફાળવણી, હરિત વન પથ યોજના તથા મોટા રોપા દ્વારા વૃક્ષારોપણ માટે રૂપિયા 90 કરોડની યોજના, શહેરી વિસ્તારને હરિયાળું બનાવવા માટે વન કવચ મોડલ દ્વારા વાવેતરની રૂપિયા 50 કરોડની જોગવાઈ, વન્યપ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા એક જ પ્લેટફોર્મ પરથી વન વિભાગની પ્રવૃત્તિઓથી માહિતગાર થવા, તથા આઈ.ટી.ના માધ્યમથી રેલવે ટ્રેક પર થતા સિંહોના અકસ્માત નિવારવા, વનોના વિકાસ, સંવર્ધન અને સમાધાન માટે રૂ. 655 કરોડની જોગવાઈ, વન્ય પ્રાણી વિકાસ તથા વ્યવસ્થા માટે રૂ. 416 કરોડની જોગવાઈ વિગેરેને કેબિનેટ મંત્રીએ આવકારદાયક ગણાવ્યું છે.
રાજ્યના અંદાજપત્રમાં પ્રવાસન તથા યાત્રાધામના વિકાસ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. બે સ્થળોએ યાત્રાધામોને જોડતા એક્સપ્રેસ હાઈ-વે, તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીઓની સ્થાપના, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ ધાર્મિક કાર્યો વિકાસ માટે રૂપિયા 215 કરોડની જોગવાઈ, અંબાજી વિકાસ માટે 180 કરોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે રૂ. 253 કરોડ, પ્રવાસન સ્થળોને સાંકળતા રસ્તાઓનો વિકાસ, રાજ્યમાં ક્લાયમેટ ચેન્જ વિભાગ માટે 419 કરોડની જોગવાઈ, ક્લાયમેટ ચેન્જ ફંડ માટે રૂપિયા 25 કરોડનું ભંડોળ, રાજ્યની સરકારી કચેરીઓમાં છત ઉપર સોલાર રુફ ટોપ સિસ્ટમ માટે રૂ. 255 કરોડની ફાળવણી, આ તમામ બાબતને પર્યાવરણ તેમજ પ્રવાસન માટે મહત્વનું તથા બુસ્ટર ડોઝ ગણાવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આવકારી અને નાણામંત્રીની આભારની લાગણી વ્યક્ત કરી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)