જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૫
દ્વારકા શારદાપીઠ ખાતે આવતીકાલ વૈશાખ સુદ પાંચમને શુક્રવાર તા. 2 ના રોજ સનાતન ધર્મના પ્રચારક એવા ભગવત્પાદ આઘ શંકરાચાર્ય મહારાજનો જન્મ જયંતી મહોત્સવ શારદાપીઠના વર્તમાન શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શનમાં ભકિતભાવપૂર્વક ઉજવણી આવશે.
આ પ્રસંગે દ્વારકામાં આવેલા શારદાપીઠ શંકરાચાર્ય મઠમાં ગુરૂગાદી ખાતે શુક્રવારે સવારે 8 થી 10 દરમ્યાન ભગવાન આદ્ય શંકરાચાર્યની પાદુકાનું પૂજન તેમજ ભગવાન શ્રી દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન તથા ધ્વજારોહણ કરવામાં આવનાર છે. આ સાથે સંતોના આશિર્વાદ સહ પૂ.આદ્ય શંકરાચાર્યજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે તમામ સનાતન ધર્માનુરાગીને આ ઉત્સવમાં પધારવા તથા આદ્ય શંકરાચાર્યજીના આશિર્વાદ તથા સંતોના આર્શિવાદ પ્રાપ્ત કરવા શારદાપીઠના બ્રહમચારી નારાયણાનંદજી મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
– ચાર મઠના સ્થાપક આદ્ય શંકરાચાર્યનો દક્ષિણના નંબૂદરી વંશમાં જન્મ –
આદ્ય શંકરાચાર્યનો જન્મ ઈ.સ. 788માં વૈશાખ સુદ પંચમીએ દક્ષિણ ભારતના નંબૂદરી વંશમાં થયો હતો. તેમણે 8 વર્ષની વયે તમામ વેદોનું જ્ઞાન મેળવી લીધું હતું. તેમણે ભારત ભ્રમણ કરી દેશની ચારેય દિશાઓમાં ચાર મઠની સ્થાપના કરી હતી જેમાં ગોવર્ધનપુરી મઠ (જગન્નાથપુરી), શૃંગેરી મઠ (રામેશ્વરમ), શારદા મઠ (દ્વારિકા) અને જયોતિર્મઠ (બદ્રીનાથ ધામ)નો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતા માટે આદિ શંકરાચાર્યજીએ વિશેષ વ્યવસ્થા કરી હતી. એવું મનાય છે કે ઈ.સ. 820 માં માત્ર 32 વર્ષની વયે શંકરાચાર્યજીએ હિમાલય ક્ષેત્રમાં સમાધિ લીધી હતી. જો કે શંકરાચાર્યજીના જન્મ અને સમાધિના વર્ષ વિશે મતમતાંતર પણ છે.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
