જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૬
દ્વારકા તાબેના રાંગાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા કાનાભા આલાભા સુમણીયા નામના હિન્દુ વાઘેર યુવાન ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે તેમના સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી.જે. 37 સી. 3445 પર બેસીને દ્વારકાથી રાંગાસર ગામે જઈ રહ્યા હતા. ત્યારે નાગેશ્વર રોડ પર પહોંચતા પૂરઝડપે જઈ રહેલા કાનાભા સુમણીયાએ પોતાના મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દેતા આ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે માર્ગ પર રહેલા એક પથ્થર સાથે તેમનું માથું ટકરાયું હતું.
આ અકસ્માતમાં માથા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જેઠાભા માંડણભા સુમણીયા (ઉ.વ. 56, રહે. રાંગાસર)ની ફરિયાદ પરથી મૃતક બાઈક ચાલક કાનાભા આલાભા સુમણીયા સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
_____________________________________________________________________________
દ્વારકાના યુવાનના મોટરસાયકલની ચોરી
દ્વારકામાં આનંદ ચોક, રેતવા પાડો ખાતે રહેતા હિંમતભાઈ ધનજીભાઈ પરમાર નામના 37 વર્ષના યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા 40 હજારની કિંમતનું હીરો મોટરસાયકલ કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
