જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.ડબલ્યુ.ડી. નોડલ અધિકારી તથા તેમની ટીમ દ્વારા દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત ટીમ દ્વારા દિવ્યાંગ મતદારોને રૂબરૂ મુલાકાત લઇને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તેઓને સરળ અને સુલભ રીતે મતદાન કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત મતદાન મથકો (બુથ) પર ઉપલબ્ધ સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી દિવ્યાંગ મતદારોને મતદાન દરમિયાન કોઈ અસુવિધા ન થાય તેમજ જરૂરી હોય ત્યાં સુધારણા માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે.
આ પહેલનો મુખ્ય હેતુ દરેક દિવ્યાંગ મતદારોને મતદાનમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો છે અને “સર્વસમાવેશક અને સુલભ ચૂંટણી”ના ઉદ્દેશ્યને સાકાર કરવાનો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દિવ્યાંગ મતદારોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લઇને મતદાન અવશ્ય કરવા માટે અપીલ કરાઈ છે.


