– 9 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે –
– ખંભાળિયાના મહિલાને એસ.ઓ.જી. પોલીસે સલાયાથી ઝડપ્યા –
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬
ખંભાળિયામાં રહેતા એક મહિલાને એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભેળસેળયુક્ત આશરે 9 કિલોગ્રામ જેટલા ઘી ના જથ્થા સાથે સલાયા ખાતેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે એસ.ઓ.જી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોસ્ટેબલ હરદીપસિંહ જાડેજા તેમજ મહાવીરસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે ખંભાળિયામાં પાવર હાઉસની પાછળના ભાગે એક બાલ મંદિરની બાજુમાં રહેતા મયાબેન બુધાભાઈ પુંજાભાઈ વકાતર નામના 76 વર્ષના મહિલાને સલાયામાં આવેલી પાંજરાપોળના ગેઈટ પાસેથી દેશી ઘી ના નામે અશુધ્ધ ઘીનું વેચાણ કરતા ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસ તપાસમાં ઘી ની બનાવટમાં અન્ય કેમિકલ તેમજ અન્ય સામગ્રીનો ઉપયોગ કરી માનવ જીવન માટે જોખમી એવું ઘી મળી આવતા પોલીસે રૂ. 2,700 ની કિંમતનો આશરે 9 કિલોગ્રામ જેટલો ઘી નો જથ્થો કબજે કરી, આ અંગે જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરને માહિતગાર કરી, ઘી ના સેમ્પલો મેળવવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, ફૂડ વિભાગના રોહિતભાઈ કોટડીયા, પી.એસ.આઈ. ડી.એ. વાળા તેમજ સ્ટાફના હરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
