
– વાડીમાં વર-કન્યા માટે ખાસ રૂમ, મોટું રસોડું, સ્ટોર રૂમ, શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ બનશે –
જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ‘વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ અને ગામની જરૂરિયાતોના વિગતવાર મૂલ્યાંકન બાદ આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
આધુનિક સામુદાયિક સુવિધાના ધ્યેય સાથે ડિઝાઇન કરવામાં આવેલી ગ્રામ સમાજવાડીની તાજેતરમાં યોજાયેલી ખાતમુહૂર્ત વિધિમાં ગામના આગેવાનો, સમુદાયના સભ્યો અને રિલાયન્સના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે,અહીં એક સાથે 2000 થી વધુ લોકો સામાજિક, સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો કરી શકે તેવો વિશાળ હોલ બનશે, ઉપરાંત અહીં વર-કન્યા માટે ખાસ રૂમ, આકર્ષક પ્રવેશદ્વાર, મોટું રસોડું, સ્ટોર રૂમ, વાસણ ધોવાની જગ્યા, પુરુષો અને મહિલાઓ માટે અલગ શૌચાલય,અગ્નિશામક સુરક્ષા (ફાયર સેફ્ટી)ની જોગવાઈ તથા સીસીટીવી સર્વેલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે અહીં પેવર બ્લોકથી સજ્જ ખુલ્લો વિસ્તાર પણ હશે જેમાં અનેકવિધ કલ્યાણકારી ઈતર પ્રવૃત્તિઓ થઈ શકશે. આ ઉપરાંત, સાતત્યપૂર્ણ વિકાસની પહેલને અનુરૂપ, આ પ્રોજેક્ટમાં વૃક્ષારોપણ માટેના એક લેન્ડસ્કેપ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સુવિધા તમામ સમુદાયના ગ્રામજનો માટે ઉપલબ્ધ રહેવાની સાથોસાથ સામાજિક તેમજ સામુદાયિક મેળાવડા માટે સુસજ્જ જાહેર સ્થળની લાંબા સમયની જરૂરિયાતને પૂર્ણ કરશે. આ સૂચિત ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ, તેને સમગ્ર ગ્રામીણ સમુદાયના લાભ અને ઉપયોગ માટે સત્તાવાર રીતે ગામ સમસ્તને સુપ્રત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રિફાઈનરીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા તથા ગ્રામ ઉત્થાન, રોજગાર સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, આ જ સામુદાયિક સેવાના અવિરત પ્રવાહને યથાવત રાખતા કંપની દ્વારા ગ્રામ સુખાકારી માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
