ડર્ટી સેલિબ્રિટી
[[[ પોલીસના સંપર્કમાં આવતા જ ભગવાન બુદ્ધની માફક ધોબીનું અચાનક હ્રદય પરિવર્તન થયું ]]]
પોરબંદરમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર ધોબીનું મગજ ધોઈ નાખતી પોલીસ
વ્યાજે આપેલા પૈસાનું ઉઘરાણું કરતા કરતા મારામારી સુધી પહોંચી ગયેલ હિતેશ ધોબીએ પોલીસની રિકન્સ્ટ્રક્શન શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર પોતાના ગંદા ધંધા અંગે લોકોની માફી માંગી
પોરબંદરના ધોબીએ ઇલેક્ટ્રિશિયનને વ્યાજે પૈસા આપ્યા: પઠાણી ઉઘરાણી કરી, તો ઇલેક્ટ્રિશિયને કાયદાનો કરંટ આપ્યો, પોલીસે કાયદાનું જોરદાર જ્ઞાન આપ્યું
₹30,000 માસિક 10% ના વ્યાજે આપીને પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી, મારામારી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ હિતેશ ધોબી સામે નોંધાઈ હતી
પોરબંદર
પોરબંદરમાં હિતેશ ધોબીનું ફુલેકુ પોલીસે કાઢ્યું અને વ્યાજે પૈસા આપનાર આ ધોબી રાતોરાત પોરબંદર શહેર અને જિલ્લાની ડર્ટી સેલિબ્રિટી બની ગયો છે. પોલીસ એટલી હદે કડક થઈ છે કે લોકો હવે બીજા લોકોને ઉછીના પૈસા આપતા પણ ગભરાઈ રહ્યા છે કારણ કે એમાં પણ વ્યાજે પૈસા આપ્યાનો આરોપ લાગી જાય અને પોલીસના પનારે પડી જવાય તો જેને પૈસા આપ્યા છે એના કરતાં પણ હાલત કફોડી થઈ જાય અને ભીખ માંગવાનો વારો આવે. પોલીસ અને કાયદાના હાથે ધોવાઇ જવાય એવા સંજોગોમાં પણ પોરબંદરના એક ધોબીએ વ્યાજે પૈસા આપવાની હિંમત કરી હતી. ₹30,000 માસિક 10% ના વ્યાજે આપીને પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી, મારામારી અને ધાકધમકી આપીને જયેશ બળેજા નામના એક 33 વર્ષના ઇલેક્ટ્રિશિયન ને તેણે શારીરિક માનસિક ઝટકા આપ્યા હતા. આ હિતેશ ધોબી હવે પકડાઈ ગયો છે અને પોલીસ તેને કાયદાના જ્ઞાનના ઝટકા આપી રહી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે જયેશ રાજાભાઈ બળેજા (ઉ.વ.૩૩ ધંધો.ઈલેક્ટ્રીશીયન રહે. બોખીરા, પંચાયત ઓફિસની બાજુમાં, પોરબંદર)એ
હિતેશ ધોબી (રહે, બોખીરા, આવાસ, પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદીએ આજથી છ મહિના પહેલા આરોપી પાસેથી રૂ.૩૦,૦૦૦/- માસિક ૧૦ ટકા વ્યાજે લીધેલ અને છ મહિના દરમ્યાન ફરિયાદીએ આરોપીને રૂ.૧,૦૦,૦૦૦/-વ્યાજ તથા પેનલ્ટી સહિત ચુકવી દીધેલ હોવા છતાં, આ કામના આરોપીએ ફરિયાદી પાસે પઠાણી ઉઘરાણી કરતાં, ફરિયાદીએ વધુ વ્યાજ ચુકવવાની ના પાડતાં થોડા દિવસ પહેલા આરોપીએ ફરિયાદીને મારમારી ગાળાગાળી કરી ધાક-ધમકી આપેલ હોય, જેથી ફરિયાદીએ આરોપી વિરૂધ્ધમાં પોલીસ ફરિયાદ કરેલ હોય, જે વાતનું મનદુ:ખ રાખી આરોપીએ ફરિયાદીને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ મારમારી, હાથપગમાં તથા શરીરે મુંઢ ઈજા પંહોચાડી અને લાકડીથી ડાબા પગના ઘુંટણ તથા ડાબા કાનની નીચે ચરકાની ઈજા પંહોચાડી, ભુંડી ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી હતી. તા.૨૩/૧૨/૨૦૨૪ના ૧૬/૦૦ થી ૧૬/૩૦ વાગ્યા દરમ્યાન બોખીરા, કોળી સમાજની વંડીની બાજુમાં, બંધ કોલોનીમાં બનેલી આ ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસમાં ગુજરાત નાણાની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ ની કલમ- ૪૦, ૪૨ (ડી) તથા બીએનએસ ૨૦૨૩ની કલમ- ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩) મુજબ ગૂનો દાખલ થતાં ફોજદાર એસ.આર.જાડેજાએ તપાસ હાથ ધરી હતી.
હૃદય પરિવર્તન થયા બાદ હિતેશે એલસીબી પોલીસને શહેરમાં ઠેર ઠેર ફેરવી
પોરબંદર એલસીબી પોલીસે આ મહાન ધોબીને ઝડપી લીધો હતો અને પોલીસે તેને (3×3) 6th ડિગ્રી દ્વારા એવું જ્ઞાન હતું કે અચાનક જ તેનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું ( પોલીસને હવે થર્ડ ડિગ્રીમાં કોઈ રસ જ નથી, પોલીસ નું પણ હૃદય પરિવર્તન થઈ ગયું છે) અને પોલીસ પાસે તેણે જાહેરમાં લોકોની માફી માંગવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અથવા તો જીદ કરી હતી અને પોલીસે તેની ઈચ્છા પ્રેમપૂર્વક પૂરી પણ કરી હતી. તેણે પોલીસને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેરવી હતી અને લોકોની હૃદયપૂર્વક માફી માંગી હતી. માફી કઈ રીતે માંગવી તે હિતેશ. ધોબીને સૂઝતું ન હતું તેથી પોલીસ તેને માફી માંગતા શીખવાડી રહી હોય તેવા વિડિયો પણ જોવા મળી રહ્યા છે. પોલીસે તેને એવું કશુંક સરસ મજાનું ખાવા આપ્યું છે કે તે ખાઈ ખાઈને એટલો બધો થાકી ગયો છે કે તે વીડિયોમાં થોડો થોડો લુલો લંગડાતો ચાલતો હોય તેવો પણ જોવા મળી રહ્યું છે. આનાથી પોલીસ પકડાયેલા આરોપીઓને પોતાના ખર્ચે સારા સારા મિષ્ટાન લાવીને જમાડતી હોવાની શંકાઓ પણ પેદા થઈ રહી છે. પોલીસ પકડાયેલ આરોપી સાથે ખાનગીમાં ખૂબ નજીકનો ઘરોબો કેળવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ જે રીતે ભગવાન બુદ્ધનું અચાનક હૃદય પરિવર્તન થયું હતું તે જ રીતે પોલીસના સંપર્કમાં આવ્યા પછી હિતેશ ધોબીનું અચાનક હૃદય પરિવર્તન થયું છે તે ઘટનાને અત્યંત મહત્વની ગણવામાં આવી રહી છે. જાણવા મળે છે કે આ બધું એસપી ભગીરથસિંહ જાડેજા ના માર્ગદર્શનનો ચમત્કાર છે.




