માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આયોજન થયું
પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આયોજન સંપન્ન
પોરબંદર
સમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરમાં પણ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે.
માર્ગ અકસ્માત દરમ્યાન ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર કઈ રીતે આપીને જીવ બચાવવામાં ઉપયોગી બની શકીએ એવા ઉમદા હેતુ સાથે પોરબંદર સુદામા ચોક ખાતે રીક્ષા ચાલકો, ટેક્ષી ચાલકો અને અન્ય વાહન ચાલકોને પ્રાથમિક સારવાર અને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ મેળવેલા વાહન ચાલકો ગમે ત્યારે કોઈપણ ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી માર્ગ અકસ્માતના કિસ્સામાં મોતને ભેટતા અટકાવી શકે તે માટે આ તાલીમ કેમ્પમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી.
પ્રાથમિક સારવાર અને સીપીઆરની તાલીમ માટે રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ફેકલ્ટી અલ્પેશભાઈ નાંઢા અને રમેશભાઈ ગરેજાએ સેવા આપી હતી.
આ તાલીમ કેમ્પને સફળ બનાવવા ટ્રાફિક પીએસઆઈ કે.બી.ચૌહાણ, પીએસઆઇ કે.એન.અઘેરા, હેડકોન્સ્ટેબલ પોપટભાઈ ગોરાણીયા, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી, બિરાજ કોટેચા, સમીર ધોયડા, પ્રતીક લાખાણી, અર્જુન કોટેચા, ધૈર્ય દતાણી અને ટ્રાફિક બ્રિગેડની ટીમે જહેમત ઉઠાવી હતી.


