Saturday June 21, 2025

પોરબંદરમાં ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું

પોલિસ અને JCI દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી

અઠવાડિયા સુધી પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને અપીલ

પોરબંદર પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષક બી.યુ.જાડેજાના હસ્તે માર્ગ સલામતી માટે તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સડકની જાળ એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ અત્યારે આ સડકો ઉપર થઇ રહેલા માર્ગ અકસ્માતો એટલો જ ચિંતાનો વિષય બની ગયા છે. આથી આ માર્ગ અકસ્માતો નિવારવા માટે લોક જાગૃતિ લાવવા એક મહિના સુધી સમગ્ર રાજ્યની સાથે પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ સાથે મળીને લોક જાગૃતિના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
જાણીતા લેખક અને ટ્રેનર ડો. અજયસિંહ જાડેજાએ રોડ સેફટી બાબતે જુદી જુદી જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતોના ફોટોગ્રાફનું કલેક્શન કરીને લોક જાગૃતિ લાવવા મુહિમ ચલાવી રહ્યા છે. તેમણે લીધેલા માર્ગ અકસ્માતના તમામ ફોટોગ્રાફનું ચોપાટી ખાતે તા. 15 થી 21 જાન્યુઆરી સુધી ચિત્ર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધી આ પ્રદર્શન નિહાળવા માટે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે.

આ ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા, રોડ સેફટી ટ્રેનર ડો. અજયસિંહ જાડેજા, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી, ટ્રાફિક પીએસઆઇ કે.બી. ચૌહાણ અને જુદી જુદી સંસ્થાઓના હોદેદારો તથા ટ્રાફિક પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બિરાજ કોટેચાએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top