
- નારન બારૈયા
આમાં બીજી કોઈ મહાનતા નથી. આ તો રાજકારણ અને સાયકોલોજીનો વિષય છે. એવા ખરખરાના બહાને સમાધાન થઈ જાય. બાકી બેય એકબીજાથી ડરતા જ હોય. આવા પ્રસંગમાં ખાનદાની દાખવે તો સમાજમાં એકબીજાનું માન રહી જાય. બાકી એ ખાનદાની ખાલી રાજાઓમાં કે બહારવટિયાઓમાં જ નથી સાવ સામાન્ય જનતામાં પણ છે. આજે તમે આવા તમારા કોઈપણ દુશ્મનના આવા પ્રસંગે ખરેખર કરવા જાજો. એ પ્રસંગ પૂરતો તમારો કોઈ વાળ વાંકો નહીં કરે. પણ સામાન્ય માણસોની આવી કથાઓ કહેવાતા આવા લોક સાહિત્યકારો નહીં લખે. કારણ કે સામાન્ય માણસો પાસે આવા કહેવાતા લોક સાહિત્યકારોને બક્ષીશ આપવા માટે ખાસ કંઈ હોતું નથી. લોકસાહિત્યકારોએ ભૂતકાળના રાજાઓ બહારવટિયાઓ વગેરેને જે લડાવ્યા ચડાવ્યા છે તેમાંથી અડધો અડધ એ સમયની ભાટાઈ કે ચમચાગીરીથી વિશેષ કશું નથી. આજે પણ ઈમોશનલ અભણ લોકો લોક સાહિત્યકારોના આવા ડાયરાઓમાં આવી કથાઓ વાંચીને ડોલી ઊઠે છે. જે લોકોને ઈમોશનલ ચ*** બનવું જ છે તેમને કોણ રોકી શકે? સૌરાષ્ટ્રના ડાયરાઓ કરતાં મુંબઈના મુજરાઓની ક્વોલિટી ઠીક ઠીક ઉંચી હોય છે.
ભાવનગરના મહારાજા બેશક સારા હતા. ભાવનગરનો ગોહિલ રાજવંશ એમની ઉદાર રાજનીતિ માટે જાણીતો છે અને પ્રજા કલ્યાણ એમના હૃદયમાં વસતું હતું એ વાતનો પણ કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી. પરંતુ કહેવાતા લોકસાહિત્યકારોએ તેમને વધારે પડતા જ મહાન ચિતર્યાં છે. દાખલા તરીકે ભારતનું જ્યારે દેશ તરીકે નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે ભાવનગરના મહારાજે સૌપ્રથમ પોતાનું રાજ્ય દેશના ચરણે ધરી દીધું હતું. એક ભાવનગરી તરીકે પણ આ બાબતે હું ગર્વનો અનુભવ કરું છું. પણ આ ગૌરવને એક વિનમ્રતાથી જ પેશ કરવું એ પણ મારી નીતી રહી છે.
લોક સાહિત્યકારોએ આ રાજ્ય અર્પણ પ્રસંગને પણ અતિશય અતિશય અતિશયોક્તિ સાથે પેશ કર્યો હોવાની ખરાબ ઘટનાઓ ઠેર ઠેર જોવા મળી રહી છે. અરે ભાઈ, વિનવ્રતાથી તો એમ કહેવું જોઈએ કે અમારા ભાવનગરના મહારાજાને દેશને સૌપ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરવાની તક મળી હતી. ભાવનગરના મહારાજ દૂરંદેશી હતા એટલે એમણે આ તક ઝડપી લીધી. વાસ્તવિકતા આટલી જ છે. પણ એની મોટી મોટી મોણ નાખેલી કથાઓ લોક સાહિત્યકારો ગાઇ વગાડીને લોકો સમક્ષ પીરસે છે. પણ તો પછી વિચારો કે ભાવનગરના મહારાજે આ ઉપલી સપાટી ઉપર કહેવાતી ઉદારતાથી દેશને પોતાનું રાજ્ય અર્પણ કરી દેવાને બદલે પોતાનું રાજ્ય પોતાની જ પાસે રાખવાની જીદ કરી હોત તો ભાવનગરના મહારાજાની શું હાલત થઈ હોત? હૈદરાબાદના નિઝામ અથવા તો જૂનાગઢના નિઝામની શું હાલત થઈ હતી તેનો ઇતિહાસ જાણીતો છે. પોતાનું રાજ્ય નહીં આપવા ઈચ્છનાર બીજા અનેક રાજાઓની હાલત શું થઈ હતી તેની અનેક કહાનીઓ ઇતિહાસમાં સ્થાન આપવાથી શોભે નહીં તેવી હોવાથી વિલૂપ્ત કરી દેવામાં આવી છે. એટલે એ બહેતર હતું કે ભાવનગરના મહારાજાએ માનભેર રહીને પોતાનું રાજ્ય દેશના ચરણે ધરી દીધું. આનાથી રાજાની આબરૂ પણ રહી ગઈ અને પ્રજાની આબરૂ પણ રહી ગઈ. આ તક ઝડપી લીધી એટલે ભાવનગરના રાજા એક સારા ડિપ્લોમેટ અને સમયને ઓળખી જનારા હતા એમ કહેવાય. અને એટલે જ બીજા અનેક રજવાડાઓની પ્રજા પોતાના રાજાનું શાસન જવાથી રાજી થઈ હતી પરંતુ આજે પણ ભાવનગરની જનતા એમના રાજવી પરિવારને ચાહે છે. બીજા અમુક રજવાડામાં જોઈ આવો. આઝાદી પહેલાના પોતાના રાજાઓના કાળા કર્મોની કથાઓની કાળી કહાનીઓ પ્રજા આજે પણ યાદ કરી રહી છે અને રાજાઓની યથાશક્તિ નિંદાઓ કરી રહી છે. ભાવનગરમાં એવું નથી થતું. પણ લોકસાહિત્યકારો ભાવનગરના રાજાઓની કથાઓને વધારે પડતી ગ્લોરીફાઈ કરે છે તે પણ બહુ ખરાબ કહેવાય. માખણના લોંદા ન મારો. જે ફેક્ટ છે તેને ફેક્ટ જ રહેવા દો.
એ સમયમાં વાણી સ્વાતંત્ર્ય નહોતું અને આજે આઝાદી પછી જે ખીલેલું પત્રકારત્વ છે તે પણ નહોતું. એટલે એ વખતે જે કંઈ લખાય એ અથવા તો જે કંઈ બોલાય એ બધું રાજાઓને ગમે એવું જ બોલવા લખવાનું લોકો પસંદ કરતા. એટલે આપણી પાસે ઘણી બધી ગપકથાઓ ફેક્ટ તરીકે આવી છે. બાકી એ સમયે પત્રકારત્વ હોત તો રાજા મહારાજાઓના અનેક અનેક કૌભાંડો પણ આપણી સામે આવ્યા હોત.
