
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫
દ્વારકાના જગતમંદિરમાં દરરોજ સવારે ઠાકોરજીના મંગલા દર્શનના ક્રમ બાદ 8 થી 9 વાગ્યા સુધી બંધ પડદે શ્રીજીને અભિષેક સ્નાન કરાવાય છે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીજીને જળાભિષેક, દૂગ્ધાભિષેક, મધ, મીસરી, દહીં ઈત્યાદિ દ્રવ્યોથી અભિષેક કરવાની પરંપરા છે. હાલમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાઈ રહયો છે, જેમાં દેશભરના કરોડો ભાવિકો ડૂબકી લગાવી પવિત્ર કરી રહ્યા છે. ત્યારે દ્વારકાધીશ રાજાધિરાજને પણ મહાકુંભના દિવસો દરમ્યાન મહાકુંભના પવિત્ર જળથી અભિષેક સ્નાન પૂજારી દ્વારા કરાવવામાં આવી રહ્યું છે.
– ઠાકોરજીને તિર્થોના જલથી અભિષેક : પ્રણવ પૂજારી –
આ અંગે દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રણવભાઈ ઠાકરે જણાવ્યું હતું કે શ્રીજીને દરરોજ અભિષેકના ક્રમ દરમ્યાન દેશભરના પવિત્ર તિર્થક્ષેત્રોથી લાવવામાં આવેલ વિશેષ જલથી અભિષેક કરવાની પરંપરા છે. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહયો છે. ત્યારે અન્ય તીર્થક્ષેત્રોના જળની સાથે કુંભ મેળાના દિવસોમાં વિશેષતઃ મહાકુંભથી લાવવામાં આવેલા પવિત્ર જળથી પણ શ્રીજીને તિર્થાત્મક અભિષેક કરાઈ રહ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)