Saturday June 21, 2025

ખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથ ફેરો

જામ ખંભાળિયા

       ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર આવેલી જિલ્લા પંચાયત કચેરી સામે સરકારી વસાહતમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. અહીં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની વિવેકકુમાર રાજેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 36) ના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તોડી અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા કુલ રૂપિયા 35,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ સિક્કાની ચોરી થયાનું ખુલવા પામ્યું છે.

       આ ઉપરાંત નજીક જ રહેતા દીપાબેન રામજીભાઈ જોટંગીયાના ઘરમાંથી રૂપિયા 2,500 તેમજ અન્ય એક આસામી મનિષાબેન દિનેશભાઈ નંદાણીયાના ઘરમાંથી રૂપિયા 5,000 નો મુદ્દામાલ પણ તસ્કરો ઉસેડી ગયા હતા.

       આ સાથે દિવ્યાબેન ગૌતમભાઈ ચૌહાણ અને જનકભાઈ પરસોતમભાઈ ચાવડાના ક્વાર્ટરમાં પણ તસ્કરોએ દરવાજાના નકુચા તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, અને ઘરવખરી વેરવિખેર કરી નાખી હતી.

        આમ, તસ્કરો જુદા જુદા પાંચ આસામીઓના ક્વાર્ટરમાંથી કુલ રૂપિયા 43 હજારની ચોરી કરીને લઈ ગયાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે વિવેકકુમાર વ્યાસની ફરિયાદ પરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

____________________________________________________________________________

દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત

         દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ઓખા મઢી ગામ નજીક પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા કારના ચાલકે આ માર્ગ પર રહેલા જી.જે. 09 એ.વી. 2044 નંબરના એક પેસેન્જર રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે તેમાં જઈ રહેલા જાવેદભાઈ ઈબ્રાહીમભાઈ થૈયમ (ઉ.વ. 32) તેમજ અહેમદ ઉર્ફે અમન બુખારીને નાની-મોટી ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

       અકસ્માત બાદ આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જાવેદભાઈ ઈબ્રાહીમભાઇની ફરિયાદ પરથી અજાણ્યા કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

____________________________________________________________________________

દ્વારકા નજીક રીક્ષાની અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

      દ્વારકામાં જૂની નગરપાલિકા કચેરી પાછળ રહેતા લાખણશીભાઈ ઘેલુભાઈ ચાનપા નામના 50 વર્ષના આધેડ પોતાના જી.જે.37 એલ. 8686 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે એક રેસ્ટોરન્ટ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 યુ. 6123 નંબરના એક રીક્ષાના ચાલકે લાખણશીભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી.

      આ બનાવ અંગે દ્વારકા પોલીસે લાખણશીભાઈ ચાનપાની ફરિયાદ પરથી રીક્ષા ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

____________________________________________________________________________

ઓખામાં માછીમાર સામે ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી

       ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રહીશ કિરણભાઈ મૂળજીભાઈ ટંડેલ નામના 43 વર્ષના માછીમાર યુવાને માછીમારી કરવા માટે જરૂરી ટોકનમાં દર્શાવ્યા કરતા એક વધારે માણસ માછીમારી કરવા માટે લઈ જઈ, માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, તેની સામે ફિશરીઝ એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top