– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય –
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫
ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે.
અનેક શાળાઓમાં શિક્ષકોની તથા ક્લાર્ક પટાવાળાની જગ્યાઓ ખાલી છે આચાર્ય બની શાળાની જવાબદારી કેવી રીતે વાહન કરવી તે યક્ષ પ્રશ્ન છે. જ્યારે અનુભવી શિક્ષક આચાર્ય બને ત્યારે તેને પગારમાં ફાયદો થવાની જગ્યાએ મોટાભાગના બહોળા અનુભવી શિક્ષકોને પગારમાં નુકસાન થાય છે. શિક્ષકમાંથી આચાર્ય બનનાર તમામ ઉમેદવારોને એક ઇજાફો પણ આપવામાં આવતો નથી. શિક્ષક આચાર્ય બને ત્યારે તેને શિક્ષક તરીકેની અને આચાર્ય તરીકેની નોકરી સળંગ ગણવામાં આવતી નથી, જેના પરિણામે તેનો ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પણ લેઈટ થાય છે. જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તો આચાર્યને ફક્ત માસિક 500 રૂપિયા જેવું નજીવું એલાઉન્સ મળે છે, જેમાં છેલ્લા 20 વર્ષથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તે સિવાય કોઈ ફાયદો થતો નથી અને કામગીરીનું ભારણ વધે છે તો શું કામ કોઈ આચાર્ય બને?
સરકાર સમક્ષ સંગઠન દ્વારા વારંવાર રજૂઆતો ઉપરોક્ત બાબતે કરવામાં આવતી હોવા છતાં આજ દિન સુધી તેનું કોઈ સુખદ નિરાકરણ કરવામાં આવેલ નથી તેના પરિણામે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)