



રાજકોટ, તા.19
ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.
ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધીના સંસ્મરણો એક આત્મકથનાત્મક નવલકથાના રૂપમાં લખવાનું પસંદ કર્યું હતું અને દસ વર્ષની એક તપશ્ચર્યા સમાન લેખનયાત્રા જારી રાખીને તેમણે આ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને પ્રગટ થતાની સાથે જ ખૂબ જ પ્રચંડ પ્રતિભાવો ચોતરફથી પ્રાપ્ત થયા હતો અને પોલીસ દ્વારા પણ આ પુસ્તકનો એક કેસ સ્ટડી તરીકે અભ્યાસ થવા લાગ્યો હતો ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર થયેલા રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનું પ્રથમ ક્રમનું રૂ 11,000નું ઇનામ આ પુસ્તકને જાહેર કરવામાં આવ્યું છે. આ ઇનામ જાહેર થતાં જ તેમના તરફ ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ વિશ્વ સ્તરે પ્રગટ થવા જઈ રહ્યો છે. એક પોલીસ અધિકારી માંથી લેખક બનેલા એસબી ગોહિલની સાહિત્યિક કારકિર્દી ભારે ઉજ્જવળ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે એસ બી ગોહિલનું આ પુસ્તક દેશ-વિદેશમાં વખણાયું છે અને તેને અમેરિકન કોંગ્રેસ લાઇબ્રેરીમાં પણ સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પુસ્તક રૂપે પ્રગટ થતા પૂર્વે પુસ્તકના પ્રકરણો “ધ ગ્રેટ વર્લ્ડ નવા રતનપર” ગ્રુપમાં અને અનેક અખબારોમાં પણ ધારાવાહિક રૂપે પ્રકાશિત થયા હતા.