Headlines

ભાવનગરના શિહોર નજીક સખવદર ગામે રૂ. ૧૦.૯૨ કરોડના અફીણ-ગાંજાના જથ્થા સાથે “ભોળા-શંભુ”ની ધરપકડ

વિપુલ હિરાણી દ્વારા 

 ભાવનગર તા.૨૩

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર પોલીસે એક મોટી કાર્યવાહી કરીને  રૂ. ૧૦.૯૨ કરોડની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ‘મરબીવાળુ ઢોળાવ’ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં પ્રતિબંધિત અફીણ અને ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે.

​ઘટનાની વિગત મુજબ ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષક નિતેશ પાંડેય ની સૂચનાથી શિહોર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક જે.એચ. દહિયાના માર્ગદર્શન હેઠળ શિહોર પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સખવદર ગામની સીમમાં શંભુભાઈ અને ભોળાભાઈ નામના વ્યક્તિઓ પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે અફીણ અને ગાંજાનું વાવેતર કરી રહ્યા છે.

​બાતમીવાળા સ્થળે પોલીસે દરોડો પાડતા ખેતરમાંથી મોટી માત્રામાં નશીલા પદાર્થો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૧૦૮૭.૫૨ કિલો ગ્રામ અફીણના લીલા છોડ (કિંમત રૂ. ૧૦,૮૭,૬૮,૦૦૦/-), ૨૬.૦૬૦ કિલો ગ્રામ સુકેલ અફીણ ડોડા (કિંમત રૂ. ૩,૬૦,૯૦૦/-) અને ૧૯.૧૪૦ કિલો ગ્રામ લીલો ગાંજો (કિંમત રૂ. ૧,૯૧,૪૦૦/-) મળી કુલ રૂ. ૧૦,૯૨,૮૫,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત મોબાઈલ ફોન અને જમીનના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

​પોલીસે આ મામલે સખવદર ગામના રહેવાસી (૧) શંભુભાઈ ઉર્ફે મનુભાઈ ઉર્ફે રંભાભાઈ રૂપાભાઈ ચૌહાણ (ઉં.વ. ૫૫) અને (૨) ભોળાભાઈ રૂપાભાઈ ચૌહાણ (ઉં.વ. ૫૩) સામે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં નશીલા પદાર્થોનું વાવેતર અને તેનું વેચાણ ક્યાં થવાનું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે. શિહોર પોલીસની આ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *