પશુ કલ્યાણ બોર્ડના પ્રતિનિધિએ મ્યુનિસિપલ કમિશનર અને વેટરનરી અધિકારી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો: પાયાની સુવિધાઓના અભાવે પશુઓના જીવ જોખમમાં
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર નગરપાલિકા દ્વારા સંચાલિત પશુઓના ડબ્બા અને હોલ્ડિંગ ફેસિલિટીમાં પશુઓની અત્યંત દયનીય અને ગેરકાયદેસર સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ઓનરરી પ્રતિનિધિ હેમલ મહેતા દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને વેટરનરી અધિકારી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પશુઓને તેમની ક્ષમતા કરતા વધુ સંખ્યામાં અને અમાનવીય રીતે કેદ કરવામાં આવ્યા છે, જે પશુ કલ્યાણ કાયદાઓનું સરેરાશ ઉલ્લંઘન છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નગરપાલિકાના પશુઓના ડબ્બામાં ક્ષમતા કરતા અનેકગણા પશુઓને રાખવામાં આવ્યા છે, જેના કારણે ભયંકર ગીચતા જોવા મળી રહી છે. પશુઓને પૂરતો ખોરાક, પીવાનું શુદ્ધ પાણી અને યોગ્ય આશ્રય (શેડ) જેવી પાયાની જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવતી નથી. ખાસ કરીને ખુલ્લી જગ્યામાં અંદાજે 900 જેટલા નંદીઓને કોઈપણ જાતના શેડ વગર રાખવામાં આવ્યા હોવાનું ફોટોગ્રાફિક પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ અસ્વચ્છ અને ગંભીર પરિસ્થિતિ પશુઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે.
આ સ્થિતિ ભારત સરકારના વિવિધ કાયદાઓ અને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. ‘પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960’ ની કલમ 11 મુજબ, પશુઓને અપૂરતી જગ્યામાં રાખવા અને ખોરાક-પાણીથી વંચિત રાખવા એ ગુનો છે. આ ઉપરાંત, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અને ‘ટ્રાન્સપોર્ટ ઓફ એનિમલ્સ રૂલ્સ, 1978’ ના ધોરણોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું ફરિયાદમાં નોંધ્યું છે. ભારતીય બંધારણની કલમ 51A(g) મુજબ દરેક નાગરિક અને સત્તામંડળની ફરજ છે કે તેઓ જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણા દાખવે, જેનું અહીં પાલન થતું નથી.
ફરિયાદમાં વેટરનરી અધિકારીની કામગીરી અને લાયકાત સામે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. એવો આક્ષેપ છે કે પશુઓને આપવામાં આવતી સારવાર નિષ્ફળ જઈ રહી છે અને તેને કારણે અનેક પશુઓના મોત નીપજ્યા છે. સંસ્થાકીય ક્રૂરતા અને બેદરકારીના આ મામલે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. જેમાં પશુઓની સંખ્યામાં ઘટાડો કરવો, પૂરતો આહાર અને તબીબી સારવાર પૂરી પાડવી તેમજ જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનો સમાવેશ થાય છે.
આ ગંભીર મામલે જો તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા, સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડ અને ન્યાયિક ફોરમ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ ફરિયાદની નકલ પોરબંદર જિલ્લા કલેક્ટરને પણ યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે.



