– સમાજના 150 જેટલા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરાયા –
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૬
ખંભાળિયામાં જડેશ્વર રોડ પર આવેલા “સોનલ ધામ” ખાતે તાજેતરમાં ચારણ-ગઢવી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ શ્રી સોનલ મંદિર પરિસરમાં આવેલા શ્રી ચારણ કુમાર છાત્રાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધાર્થી સન્માનનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આશીર્વચન પાઠવવા માટે પૂ. આઈશ્રી હિરલ માતાજી તેમજ સોનલ ધામ – મઢડાથી પૂ. ગિરીશઆપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંતોની સાથે ડેપ્યુટી કલેક્ટર વાય.પી. ગઢવી, જિલા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, કથાકાર જીવણ ભગત સહિત સમાજના વિવિધ અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને ટ્રસ્ટના હોદ્દેદારોએ પણ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રેરણારૂપ સમારોહ અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર ચારણ-ગઢવી સમાજના આશરે 150 જેટલા તેજસ્વી વિધાર્થીઓને પૂ. માતાજી, ગિરીશ આપા અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં ધોરણ 10 અને 12 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિશિષ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
