Saturday June 21, 2025

બાબરા કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાતનો પ્રયત્ન કરવા મજબૂર કરનારાઓ સામે પગલાં લેવા કાંઠી ક્ષત્રિય સમાજની રજૂઆત

[[ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનો આક્રોશ ]]

બાબરા કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાત નો પ્રયત્ન કરવા મજબૂર કરનારાઓ સામે પગલાં લેવા કાંઠે ક્ષત્રિય સમાજની રજૂઆત

નોકરી અને સ્વમાનને નુકસાન પહોંચાડવાના ઇરાદા સાથે ફરિયાદીઓ દ્વારા પોલીસ પ્રશાસનને દબાણ કરાંતા હોવાના વિડિયો ધ્યાને આવ્યા

નીલવડામાં બનેલા બનાવના સમયે બાબરા પોતાના ઘરે હોવા છતાં રવિરાજ ઉપર પણ એટ્રોસિટી એક્ટ અને ૩૦૭ અન્વયે કેસ દાખલ કરાયો તે માનવ અધિકાર ભંગ: ક્ષત્રિય કાઠી સમાજ

અમરેલી

બાબરા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાત કરવાની હદ સુધી મજબૂર કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ અને ખોટા ફરિયાદીઓને સખત સજા થાય તેવા પગલાં લેવા માટે રાજ્યપાલથી લઈને સ્થાનિક સ્તરે કલેકટર સુધીના સ્થાનો પર કાઠી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં કોન્સ્ટેબલ રાજેશ્રીબેન ને નિર્દોષ સાબિત કરતા આધારો પણ જોડવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે રાજેશ્રીબેન તથા તેમના ભાઈ સહિતના લોકોને આ ગુનામાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા હતા અને તેના કારણે કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાત નો પ્રયત્ન કરવાની જરૂર પડી હતી. આ અંગે જો યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મહા સંમેલન યોજવામાં આવશે તેમ પણ રજૂઆતમાં જણાવ્યું છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે ૨૨/૧૨/૨૦૨૪ ના રોજ બાબરા તાલુકાના નીલવડા ગામમાં બે અલગ અલગ સમાજના વ્યકિત વચ્ચે જઘડો થયેલ જે બાબતે બાબરા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ અન્વયે ફરિયાદ દાખલ થયેલી..જે બાબતે જે વ્યક્તિને આરોપી તરીકે દર્શાવેલ છે તેના પરિવારના સભ્યો આ કેસમાં નિર્દોષ હોવા છતાં પણ તેઓને આ કેસમાં સંડોવી દેવામાં આવેલ છે..ઉપરાંત આરોપીના બહેન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાની જાણ ફરિયાદીઓ ને થતા તેઓ દ્વારા ખોટી રીતે એક મહિલાને પણ પરિવાર ના સભ્ય હોવા માત્રથી તેની નોકરી અને સ્વમાનને નુકસાન પહોંચાડવાના ઇરાદા સાથે ફરિયાદીઓ દ્વારા પોલીસ પ્રશાસનને દબાણ કરાંતા હોવાના વિડિયો ધ્યાને આવ્યા છે..આ બાબતથી આ કેસની તપાસકર્તા અધિકારી એ એસપી જયવીર ગઢવી,બાબરા મહિલા પીએસઆઇ રાઠોડ અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા બહેનને ૨૨/૧૨/૨૦૨૪ થી ૨૬/૧૨/૨૦૨૪ સુધી માનવ અધિકાર નો ભંગ કરી બિનકાયદેસર રીતે પોલીસ મથકે બેસાડી રાખેલ હતા..અને સતત બહેનને અને તેઓના સગા સબંધીઓને આરોપીને હાજર કરવા માનસિક ટોર્ચર કરવામાં આવેલું. આ રીતના અધિકારીઓ ના અને કેસમાં ખોટા નામ દાખલ કરવા દબાણ કરતા ફરિયાદીના માનસિક ત્રાસથી બહેનને ફિનાઇલ પીવાની ફરજ પડેલ છે. ઉપરાંત બહેનના સગા ભાઈ રવિરાજભાઈ કે જેઓ નીલવડા ગામે બનેલા બનાવના સમયે બાબરા પોતાના ઘરે હોવા છતાં તેઓની ઉપર પણ એટ્રોસિટી એક્ટ અને ૩૦૭ અન્વયે કેશ દાખલ કરાયો તે પણ માનવ અધિકાર ના ભંગ સમાન છે…ભલે સો ગુન્હેગાર બચી જાય પણ એક નિર્દોષ ને સજા ના થાય એ ન્યાયલયોનું સૂત્ર છે જે પ્રમાણે જ કાર્ય થવું જરૂરી છે.તોજ લોકોનો ન્યાયાલય પર વિશ્વાસ ટકી રહેશે…આ બાબતે યોગ્ય તપાસ કરવી આ રાજેશ્રીબહેન ને આપઘાત કરવા મજબૂર થવાનું પગલું ભરવું પડે તેવી ફરજ પાડનાર તમામ અધિકારી ,કર્મચારી અને અન્ય દોષિતો પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને તે ઉપરાંત રાજેશ્રી બહેને આ પગલું ભરતા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખેલી છે જેમાં પોતાને થતા અન્યાય અને અધિકારીઓના માનસિક ત્રાસની વાત કરેલ છે જે આ સાથે સામેલ છે. બહેન હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય જો તેને કંઈ પણ થશે તો માત્ર ને માત્ર બહેનને બિનકાયદેસર પોલીસ મથકે બેસાડી રાખી ટોર્ચર કરનાર અધિકારીઓ/ ખોટી ફરિયાદ કરનાર ફરિયાદીઓનું દબાણ જવાબદાર રહેશે….
ક્ષત્રિય કાઠી સમાજની માંગણી છે કે (૧) રાજશ્રીબેન ને માનસિક ત્રાસ આપનાર એ અસ પી જયવીર ગઢવી, બાબરા મહિલા પી એસ આઈ રાઠોડ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેઓના પર કાયદેસરની કાયૅવાહી કરવામાં આવે.. (૨) આરોપીની ધરપકડ કરવા માટે આરોપીના સગાઓને ૨૨/૧૨/૨૦૨૪ થી ૨૬/૧૨/૨૦૨૪ સુધી બિનકાયદેસર રીતે ઘરેથી ઉઠાવી પોલીસ સ્ટેશનમાં ધમકવામાં આવેલ અને બિલકુલ નિર્દોષ વ્યક્તિઓને કાયદાનો ખોટો ડર બતાવી ટર્ચર કરનાર એલસીબીના તપાસકર્તા અધિકારી /કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. (૩) બાબરા પોલીસ મથકે જ્યારે રવિરાજભાઇ વાળાને આરોપી તરીકે લાવવામાં આવેલ ત્યારે એલસીબી અધિકારી/ કર્મચારી દ્વારા બંને ભાઈ બહેન સાથે ખરાબ દુર્વ્યવહાર કરવામાં આવેલો. તેઓ પર પણ સખત કાર્યવાહી કરવામાં આવે. (૪) નીલવડા ગામે જ્યારે ૨૨/૧૨/૨૦૨૪ ના બનાવ બન્યો ત્યારે દલિત સમાજના અમુક લોકો દ્વારા ફેકબૂક ના માધ્યમથી વીડિયોમાં કાઠી સમાજના લોકોની લાગણી દુભાઈ તે રીતે અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો અને તેજ ગામના દલિત સમાજના આગેવાન ડાયાભાઇ ખીમસુરિયા દ્વારા તેઓના સમાજને ઉશ્કેરવા વીડિયોમાં કાઠી સમાજના ૨ યુવાનોના હાથપગ ભાંગી નાખવાની વીડિયોમાં વાત કરી રહ્યા છે અને તેઓના સમાજને ઉશ્કેરી બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ફેલાય તે રીતે ગાળો બોલી રહ્યા હતા જેઓની પણ ધરપકડ કરવામાં આવે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વિડિયો ના યોગ્ય આધારો પણ રજૂઆત સાથે સામેલ છે..
(૫) તારીખ ૨૪/૧૨/૨૦૨૪ ના રોજ રોજ નીલાવડા ગામે દલિત સમાજના આગેવાનો દ્વારા રાત્રીના સમયે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ અને તેમાં આવેલા અલગ અલગ વિસ્તારના આગેવાનો દ્વારા જે ભાષણ આપવામાં આવેલા તેમાં માટે રાજેશ્રી બેન ને એટ્રોસિટી કેસમાં નામ ચડાવવા પોલીસ પર વીડિયોમાં માધ્યમથી દબાણ ઊભું કરવામાં આવેલું . આ રીતે એક મહિલાને ખોટી રીતે ફસાવી દેવાનો બદ ઈરાદો ધરાવનાર અને ભાષણ માં પણ બહેન વિરૂદ્ધ સતત ફરિયાદની વાત કરી રાજશ્રીબેનના અને સમગ્ર કાઠી સમાજના સ્વમાનને ઠેસ પહોચાડેલ છે અને તેઓને માનસિક ત્રાસ આપેલ. આ વીડિયો ની લિંક પણ રજૂઆત સાથે સામેલ છે. (૬) જ્યારે પણ કોઈપણ સમાજના વ્યક્તિ કે વ્યક્તિઓ પર એટ્રોસિટી એકટ પ્રમાણે ગુન્હો દાખલ કરવામાં આવે ત્યારે પોલીસ કોઈના દબાણમાં કે ઉતાવળમાં ગુન્હો દાખલ કરવામાં પૂરતી તપાસ કરે અને કોઈ નિર્દોષ આ કાયદામાં ફીટ ના થઈ જાય તે માટે પણ આપના દ્વારા ઘટતું કરવામાં આવે. જો કોઈ નિર્દોષ વ્યક્તિ કે વ્યક્તિઓ પર પૂરતી તપાસ વગર આ કાયદા પ્રમાણે કેસ દાખલ થશે તો તે પણ માનવ અધિકારનો ભંગ થયેલો જ ગણાશે માટે આ કાયદાના ઉપયોગ સમયે પોલીસ દ્વારા પૂરતી તપાસ ના અંતે જ દોષિત પર એફ આઈ આર નોંધાય અને નિર્દોષ ને કાયદાના દુરુપયોગ ની સજા ના થાય તે બાબતે આપની કક્ષાએ થી ઘટતું થાય. (૭) રાજેશ્રી બહેનને જ્યારે બાબરા પોલીસ મથકે બેસાડેલા રખાયા હતા તે સમય દરમિયાન રાત્રીના ૧૨:૦૦ વાગ્યે એલ સી બી કોન્સ્ટેબલ મહેશભાઈ દ્વારા તેઓના જે રૂમમાં રખાયા હતા ત્યાં જઈ બદઈરાદાથી રાજેશ્રી બેનને ધમકાવવાના પ્રયત્નો કરેલા અને તે સમયે કોઈ મહિલા કોન્સ્ટેબલ ની હાજરી પણ નહોતી..તેની વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે. (૮) હરહંમેશ કોઈપણ ઘટનાએ કે કોઈપણ જગ્યાએ કે કોઈપણ સમજ માટે જ્યારે એટ્રોસિટી અન્વયે કોઈપણ કલમ લાગુ પાડવાની થતી હોય ત્યારે પોલીસે અથવા કોઈપણ અધીક્ષકે તેની વાસ્તવિક તપાસ કરવી જોઈએ અને ઘટના સ્થળે કેટલા વ્યક્તિઓ ખરેખર હાજર હતા જે તપાસ કરી આ કલમનો ખરી રીતે ઉપયોગ થાય તે અન્વયે યોગ્ય અને તટસ્થ તપાસ થાય તેવી કાઠી ક્ષત્રિય સમાજની માંગણી છે. યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર ક્ષત્રિય સમાજ નું મહાસંમેલન યોજવામાં આવશે તેમ રજૂઆતમાં જણાવ્યું છે અને રજૂઆતની કોપી રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, માનવ અધિકાર પંચ, મહિલા આયોગ પંચ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને સાંસદો તથા ધારાસભ્યો સુધી રવાના કરવામાં આવી છે. તેમ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રવક્તા ગજેન્દ્ર શેખવા દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top