ઉત્ખનનકારોના માણસોએ લઈ જવાતા ટેક્ટરોની હવા કાઢી નાખવી, બેટરી કાઢી લેવી સહિતના પરાક્રમો કર્યા
બળેજ ગામની સીમમાં વર્ષોથી ચાલતું ગેરકાયદેસર ઉત્ખનન તંત્રની મીલી ભગતના પાપે બંધ થવાનું નામ લેતું નથી
જ્યારે ધૂન ચડે છે ત્યારે અથવા ઉપરી અધિકારીઓની ભીંસ હોય ત્યારે અથવા હપ્તો વધારવો હોય ત્યારે તંત્ર દ્વારા રેડ થાય છે
એવું ક્યુ સેટિંગ કરવાનું હતું કે જેના કારણે પાંચ દિવસ સુધી ભૂસ્તર તંત્રે વિચારવું પડ્યું છે?- આ સવાલોને લઈને પોલીસ નહીં પરંતુ કોર્ટમાં કેસ ચાલશે ત્યારે સામા વાળાના વકીલો તપાસ કરશે
પોરબંદર
પોરબંદર જિલ્લાના માધવપુર પંથકમાં આવેલ બળેજ ગામની સીમમાં વર્ષોથી ચાલતું ગેરકાયદેસર ઉત્ખનન તંત્રની મીલી ભગતના પાપે બંધ થવાનું નામ લેતું નથી અને વારેવારે જ્યારે જ્યારે ધૂન ચડે છે ત્યારે અથવા તો ઉપરી અધિકારીઓની ભીંસ હોય ત્યારે અથવા તો હપ્તો વધારવો હોય ત્યારે તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાંથી વિવિધ કર્મચારીઓ દ્વારા રેડ થતી રહે છે અને વારંવાર ઉત્ખનનકારો સાથે સંઘર્ષ થતો રહે છે ત્યારે વધુ એક વખત ભૂસ્તર વિભાગ દ્વારા રેડ થતા જપ્તીમાં લઈ જવાતા વાહનોનો અટકાવ કરવા માટે ઉત્ખનનકારોના માણસોએ લઈ જવાતા ટેક્ટરોની હવા કાઢી નાખવી, બેટરી કાઢી લેવી સહિતના પરાક્રમો કર્યા હતા અને પાંચ ગાડી ભૂસ્તર શાસ્ત્ર વિભાગની ટીમને જવામાં અડચણ પડે તે રીતે આડી ઊભી ગઈ હતી અને કેટલાક લોકોએ ભૂસ્તર ખાતાની ટીમને ધમકી પણ આપી હતી કે અહીંયાથી જતા રહો નહિતર… વગેરે વગેરે મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસ ફરિયાદ પાંચ દિવસ મોડી થઈ છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે મીતેષભાઇ મોતીરામ મોદી (ઉ.વ.૩૧ ધંધો.નોકરી મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પોરબંદર)એ (૧) કેસુભાઇ, (૨) ગાંગાભાઇ કારાભાઇ કડછા, (૩) ભરતભાઇ હરદાસભાઇ પરમાર, (૪) ચનાભાઇ ઉર્ફે સતિસભાઇ મુંર્દા (૫) નાગાજણભાઇ (તમામ રહે.બળેજ ગામ તા.જિ.પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી કેશુભાઈ તથા ગંગાભાઈ કારાભાઈ કડછા અને ભરતભાઈ હરદાસભાઇ પરમાર તેમજ ચનાભાઈ દ્વારા બિનઅધિકૃત બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનિજના ખનન/વહન/સંગ્રહમાં ઉપયોગમા લીધેલ ૬ પથ્થર કટીંગ મશીન (ચકેડી), ૩ ટ્રેક્ટર (ભોડા) રજી.નં પ્લેટ વગરના અને ૩ જનરેટર મશીનોને સિઝ ન કરવા દઇ, તેમજ નાગાજણભાઇએ ટ્રેક્ટરોના ટાયરની હવા કાઢી, તેમજ ટ્રેક્ટરના ટાયરના વાલ્વ કાઢી નાખી, તેમજ ટ્રેક્ટર ચાલુ કરવા માટેની સેલ્ફ સ્ટાર્ટ કરવાની બેટરી કાઢી અને ડીઝલની પાઇપ કાપી નાખી, મશીનો સીઝ કરવાની કામગીરીમા વિક્ષેપ ઉભો કરી તેમજ આરોપી ભરતભાઇ હરદાસભાઇ પરમાર એક સિલ્વર કલરની અર્ટીગા ફોરવ્હીલ ગાડીમાં આવી સદરહુ જગ્યાની બહાર નિકળતા રસ્તામાં ફરીયાદી તથા સરકારી ગાડીને રોકી, તેની પાછળ અન્ય પાંચ થી છ ફોરવ્હીલર ગાડીઓનો કાફલો આવી સરકારી ગાડીનો રસ્તો રોકી, ગેરકાયદેસર અવરોધ ઉભો કરી, મશીનો છોડી મુકો નહીતર સ્થળ પરથી નહી જવા દેવાની ધમકી આપી, ફરીયાદીની ઘાણી કરી હતી.
તા.૨૮/૧૨/૨૦૨૪ કલાક ૧૦/૧૫ વાગ્યાના અરસામાં માધવપુરથી ઉતરે ૧૮ કિ.મી. દુર બળેજ ખાતે બનેલી આ ઘટના અંગે તા.૨/૧/૨૦૨૫ કલાક ૨૦/૧૫ વાગ્યે માધવપુર પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૧, ૧૨૬(૨),૩૫૨,૫૪ મુજબ ગુનો દાખલ થતાં શિખાઉ ફોજદાર એ એ ડોડીયા એ તપાસ હાથ ધરી છે. ભૂસ્તર ખાતાએ ગુનો બન્યા પછી ફરિયાદ પાંચ દિવસ મોડી શા માટે કરી અને એવું તે ક્યુ સેટિંગ કરવાનું હતું કે જેના કારણે પાંચ પાંચ દિવસ સુધી ભૂસ્તર તંત્રે વિચારવું પડ્યું છે?- આ સવાલોને લઈને પોલીસ નહીં પરંતુ કોર્ટમાં કેસ ચાલશે ત્યારે સામા વાળાના વકીલો તપાસ કરશે.