આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો
પોરબંદર
પોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં એક વ્યક્તિએ જે હિંસક બઘડાટી બોલાવી હતી તેવા જ પ્રકારની એક હિંસક બઘડાતી કુતિયાણામાં પણ બોલી ગઈ હતી. કુતિયાણામાં આ કેસનું બઘડાટી સ્થળ એસબીઆઇ બેન્ક છે અને બઘડાટીકારોની સંખ્યા 2 છે. હાલમાં ગૃહ ખાતું પોલીસની વિશિષ્ટ punchનામા યોજનાને પ્રોત્સાહન આપી રહ્યુ છે ત્યારે બેંકમાં બઘડાટી બોલાવનાર બન્ને શખ્સોએ પોલીસને “પંચ”નામાની ભાવતી તક આપી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાત એટલી જ હતી કે બેંકના સ્ટાફે એક જણને એવું કીધું કે તમે લાઈનમાં આવો. બસ એ લોકો લાઇન વગર આવી ગયા અને ન કરવાનું કર્યું.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે બેંક તરફથી યોગેશ ઈન્દ્રરાજ પરીક (ઉવ.૨૫ ધંધો.નોકરી એસ.બી.આઈ બેન્ક કુતીયાણા હાલ રહે.શ્રીજી એપારમેન્ટ કમલાબાગ પોરબંદર મુળ રહે-સરદારપુરા વાસ નોહાર તા:નોહાર જી.હનુમાનગઢ રાજસ્થાન)એ (૧) રાજ ગાગાભાઈ ઓડેદરા (૨) વિશાલ અરજનભાઈ ગરેજા (રહે બન્ને-કુતીયાણા) તમે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી રાજ આર.ટી.જી.એસ ના કામ સબબ એસ.બી.આઈ બેન્કમાં આવેલ હોય અને ફરીયાદીના કાઉન્ટર ઉપર ટ્રાફીક હોય જેથી ફરીયાદીએ તેઓને લાઈનમાં ઉભા રહેવાનુ કહેલ હોય જે વાતનુ મનદુખ રાખી રાજ અને વિશાલ એસ.બી.આઈ બેન્ક પાસે રોડ ઉપર આવી ફરિયાદીને ફોન કરી બેન્કની બહાર બોલાવી બન્ને આરોપીઓએ જેમફાવે તેમ ભુંડી ગાળૉ કાઢી, આરોપી વિશાલે ફરીયાદીને પકડી રાખેલ અને રાજે શરીરે ઢીકાપાટુનો માર મારી નાક ઉપર મુકો મારી મુઢ ઈજાઓ કરી બન્ને આરોપીઓએ ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી એકબીજાની મદદગારી કરી હતી. તા.૨૦/૧/૨૦૨૫ ૧૬/૪૫ ના અરસામાં એસ.બી.આઈ બેન્ક પાસે જાહેર રોડ પર બનેલી આ ઘટના અંગે કુતિયાણા પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૧(૧),૩૫૧(૩ ),૩૫૨,૫૪ મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ કે એન ઠક્કરિયાએ તપાસ હાથ ધરી છે. આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો છે એમ માનવામાં આવી રહ્યું છે.