Saturday June 21, 2025

ગુજરાતમાં દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન: ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો

ગાંધીનગર
પંચાયતથી લઈને પાર્લામેન્ટ અને આંગણવાડીથી લઈને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આજે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના ઉદ્દેશથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન શરૂ કર્યું છે, જેના પરિણામે દીકરી જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૯-૨૦ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દીકરી જન્મદર ૮૯૦ થી વધીને ૯૫૫ થયો હતો. રાજ્યમાં કન્યાઓના નામાંકન દરમાં વધારો તથા ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. કન્યાઓનો નામાંકન દર વર્ષ ૨૦૦૨-૦૩માં ૬૬.૮૩% હતો, જે વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૯.૮૧%
થયો છે.
મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા કન્યાઓના શિક્ષણનું મહત્વને સમજી ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન’ યોજના દ્વારા ડ્રોપ આઉટ કરેલી દીકરીઓના કાઉન્સેલીંગ કરી તેમને પડતી સમસ્યાઓ દૂર કરી તેમને ફરીથી શાળાએ આવવા માટે પ્રેરીત કરવામાં આવે છે.
દેશભરમાં દીકરીઓના મૃત્યુદર ઘટાડવા તથા તેમના શિક્ષણ, આરોગ્ય અને સમાનતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૮થી ૨૪ જાન્યુઆરીના દિવસને ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા બાલિકાઓના અધિકારો, શિક્ષણ અને તેમને સમાજમાં વધુ મહત્વપૂર્ણ સ્થાન-પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ દિવસ ઉજવાય છે. આનો મુખ્ય હેતુ બાલિકાઓના સશક્તીકરણ અને તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાના પ્રયાસોને આગળ
વધારવાનો છે.
રાજ્યમાં દીકરીઓના જન્મનું પ્રમાણ વધે, દીકરીના શિક્ષણમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા “વ્હાલી દીકરી” યોજના અમલમાં મૂકી આ યોજના થકી દીકરીઓને જન્મથી ૧૮ વર્ષ સુધીમાં રૂ. ૪ હજાર થી ૧ લાખ સુધીની સહાય પણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top