– ખંભાળિયાના લોહાણા મિત્ર મંડળ દ્વારા – સેવા સેતુ, નૂતન ધ્વજારોહણ, રક્તદાન કેમ્પ, સમૂહ પ્રસાદ સહિતના આયોજનો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫
સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા લોહાણા મિત્ર મંડળ દ્વારા રવિવાર તા. 23 ના રોજ અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જલારામ બાપાની પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે શનિવારે રાત્રે 9:30 વાગ્યે જલારામ બાપાની ઝાંખીનું આયોજન કરાયું છે. જેમાં શ્રી ગાયત્રી ગરબા મંડળના કલાકારો ઝાંખી રજૂ કરશે. આ સાથે રાત્રિના 10:30 વાગ્યે આરોગ્ય સેવા સેતુનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના જિલ્લા કલેક્ટર શ્રી આર.એમ. તન્ના (આઈ.એ.એસ.) તેમજ ડીવાયએસપી વી.પી. માનસેતા ખાસ ઉપસ્થિત રહેશે.
જલારામ બાપાની પુણ્યતિથિના અવસરે રવિવારે સવારે 9:30 વાગ્યે અહીંના જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ બાદ સવારે 10 થી 2 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8:30 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ સાથે રેશનકાર્ડ અને આયુષ્યમાન કાર્ડનો કેમ્પ પણ યોજવામાં આવ્યો છે.
કાર્યક્રમના અંતે રવિવારે સાંજે યોજવામાં આવેલા રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદ (નાત) ના આયોજનમાં સાંજે 6:30 થી 8:30 વાગ્યા સુધી બહેનો માટે તેમજ રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી ભાઈઓ માટે સમૂહ પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ તમામ આયોજનો માટે લોહાણા મિત્ર મંડળની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.