હરેશ જોષી, મજાદર
મજાદરના માડુ, ભક્ત કવિ દુલા ભાયા કાગની ૪૮મી પૂણ્ય તિથિ- ફાગણ સુદ ચોથના દિવસે, તારીખ ૩- ૩- ૨૦૨૫ના રોજ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં કાગધામ, મજાદર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.
પૂજ્ય બાપુની પ્રેરણાથી, ૨૦૦૨થી કાગબાપુની પુણ્ય તિથિ ઉપર “કાગ એવૉર્ડ” સાથે “કાગ વંદના” નો ઉપક્રમ આરંભાયો. એ રીતે આ ૨૪ મો એવૉર્ડ અર્પણ કાર્યક્રમ છે. કાર્યક્રમમાં ત્રણ તબક્કા રહેશે.
એક તો, “કાગના ફળિયે કાગની વાતું” શિર્ષક અંતર્ગત કાગબાપુનાં જીવન – કવન પર ગુજરાતનાં પ્રસિદ્ધ કવિ અને વક્તા વિનોદ જોશી “કાગવાણીની કવિતા” વિષય પર પોતાના વિચારો પ્રસ્તુત કરશે.
શિક્ષણ અને સંશોધન ક્ષેત્રના વિદ્વાન વક્તા, લેખક – સંશોધક અને પાટણ યુનિવર્સિટીના નિવૃત્ત કુલપતિ બળવંત જાની આ કાર્યક્રમનું સંચાલન કરશે. આ પ્રસંગે પૂજ્ય બાપુ પ્રાસંગિક ઉદ્બોધન કરશે.
બીજું, લોક સાહિત્ય અને ચારણી સાહિત્યના મર્મીઓને “કાગ એવૉર્ડ” થી પૂજ્ય બાપુના વરદ હસ્તે વિભુષિત કરવામાં આવશે.
આ વર્ષે દિવંગત લોક સાહિત્યકારને અપાતો એવોર્ડ રાણપુર (કરજણ)ના સ્વ. ભાઇલાલભાઇ કવિના પરિવાર જનોને એનાયત થશે. લોકસાહિત્યના સ્ટેજ કલાકાર તરીકેનો એવોર્ડ કુવાદરના ધનરાજ રતનશી ગઢવીને અપાશે. ચારણી સાહિત્યના મર્મી તરીકેનો એવોર્ડ જૂનાગઢના અમુદાન ગઢવીને પ્રાપ્ત થશે. અને પ્રતિવર્ષ એક રાજસ્થાનની ચારણ વિદ્વાનને એનાયત થતો કાગ એવૉર્ડ આ વર્ષે નાગોરના શ્રી લક્ષ્મણદાસ કવિયાને અપાશે. એવૉર્ડ અર્પણ વિધિ પછી પૂજ્ય બાપુનું આશિર્વાદક ઉદ્બોધન થશે.
ત્રીજું, ગુજરાતના સમર્થ લોકગાયકો રાતભર સંતવાણી અને લોકસાહિત્યનું રસપાન કરાવશે. જેમાં સમયની અનુકૂળતા અનુસાર પૂજ્ય બાપુ ઉપસ્થિત રહેશે.
આ રીતે કાગબાપુની દિવ્ય ચેતનાનાં ભાવ સ્મરણ સાથે દિવંગતને ત્રણ તબક્કામાં શબ્દાંજલિ અર્પણ થશે.
કાગ પરિવારના મોભી બાબુભાઈ કાગે સહુ કાગપ્રેમીઓ, લોકસાહિત્યના માણતલ મિત્રો અને સાહિત્ય રસિકોને ત્રીજી માર્ચે કાગના ફળિયે છાસ્યુ પીવા, કાગની કવિતાની વાતું સાંભળવા, પૂજ્ય બાપુના હસ્તે પોંખાનાર વિદ્વાનોને વધાવવા, પૂજ્ય મોરારીબાપુનાં દર્શન શ્રવણનો લાભ લેવા અને સાંજનું વાળું કરી, લોક કલાકારોને સાંભળવા માટે પધારવાનું આમંત્રણ પાઠવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમ સંગીતની દુનિયા યુટ્યુબ ચેનલ અને સંગીતની દુનિયા ફેસબુક પરથી પ્રસારિત કરવામાં આવશે એનો લાભ લેવા વિનંતી કરાઇ છે.