
કુજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫
આજરોજ તા. 7 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જેથી દ્વારકાના જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે.
– શ્રીજીને ચાંદીની પિચકારીમાં કેસરજળનો છંટકાવ કરાશે –
દોલોત્સવ સુધી અબીલ ગુલાલના છાંટણાં થશે. મંદિર પરિસરમાં ભાવિકો પણ રંગે રંગાશે. આજરોજ સવારે 10:45 વાગ્યે યોજવામાં આવતી શૃંગાર આરતી સમયેથી ભાવિકો ઠાકોરજીની પ્રસાદીરૂપે અબીલ-ગુલાલની પોટલીઓથી રંગે રંગાયા હતા. આવો જ ક્રમ તા. 14 મી માર્ચ સુધી દોલોત્સવ સુધી સવાર-સાંજ બન્ને સમયે ઉજવાશે. જગતમંદિર પરિસરમાં પણ ભાવિકો રંગે રંગાતા જોવા મળશે.
– દ્વારકામાં ફુલડોલ ઉત્સવ મનાવવા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ: દરરોજ હજારો યાત્રીકો પગપાળા દ્વારકા તરફ રવાના –
એક સપ્તાહ બાદ યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ હોળી – ફુલડોલ ઉત્સવ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે ઊજવવામાં આવનાર છે. ત્યારે કચ્છ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી પગપાળા સંઘ અલગ અલગ જૂથોમાં દ્વારકા તરફ રવાના થઈ રહ્યા છે. જેની સંખ્યામાં આગામી સપ્તાહ દરમ્યાન સતત વધારો થતો જોવા મળશે. તો દ્વારકા તરફ આવતા તમામ ધોરી માર્ગો પર સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રીકો માટે આરામ, ભોજન, નાસ્તા, પાણી તેમજ મેડીકલ સહાય તથા મસાજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
– જગતમંદિરમાં 14 મી માર્ચે હજારો ભાવિકો સન્મુખ હોળી-ફુલડોલ મહોત્સવ ઊજવાશે –
– ઠાકોરજીના દર્શન ક્રમમાં ફેરફાર –
દ્વારકાધીશ મંદિરના વારાદાર પૂજારી પ્રવિણચંદ્ર ભગવાનજી તથા દિપકભાઈ પૂજારીની યાદીમાં જણાવ્યા અનુસાર દ્વારકાધીશ મંદિરમાં આગામી હોળી – ફુલડોલ ઉત્સવની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જગતમંદિરમાં હોળી ફુલડોલ ઉત્સવ દરમ્યાન ઠાકોરજીના દર્શન સમયમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. જે અનુસાર આગામી શુક્રવાર તા. 14 ના રોજ ફાગણ સુદ પૂનમના સવારે 6 વાગ્યે મંગલા આરતી. બપોરે 1 વાગ્યે અનોસર થશે. કુલડોલ ઉત્સવ આરતી બપોરે 1:30 વાગ્યે તેમજ ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવની ઉજવણી બપોરે 2:30 સુધી કરાશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. જયારે સાંજનો ક્રમ નિત્યક્રમાનુસાર રહેશે.
હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવામાં આવનાર હોય, લાખો ભાવિકો અનેરા ઉત્સાહ સાથે હજારો ભાવિકો દ્વારકા આવનાર હોય તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સુગમતાભરી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
– દ્વારકાધીશ જગત મંદિરને ફુલડોલ ઉત્સવ પૂર્વે લાઈટીંગ ડેકોરેશનથી સુશોભિત કરાયું –
એક સપ્તાહ બાદ લાખો ભાવિકો યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવ મનાવવા પધારી રહયા છે ત્યારે આ વખતે પ્રથમ વખત દ્વારકાધીશ જગતમંદિરને આગામી હોળી તથા ફુલડોલ ઉત્સવ અંતર્ગત કલાત્મક લાઈટીંગ સાથે ડેકોરેટ કરવામાં આવ્યું છે. દર વખતે જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારોમાં જગતમંદિરને સુશોભિત કરાય છે જ્યારે આ વખતે ફુલડોલ ઉત્સવ માટે પણ જગતમંદિરને લાઈટીંગ સાથે સુશોભિત કરાઈ રહ્યું હોય, મંદિર વહીવટદારના પગલાંથી શ્રદ્ધાળુઓમાં આવકાર સાથે આનંદની લાગણી પ્રસરી છે.







(ફોટો:- કુંજન રાડિયા)